સુરત શહેરમાં 4 માર્કેટના વેપારીએ 38.82 લાખની કિંમતની સાડી ખરીદી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી
સુરત: શહેરના ભાઠેના સ્થિત મિલેનિયમ 4 માર્કેટના વેપારીએ રૂ.38.82 લાખની કિંમતની 7745 નંગ સાડી કાપોદ્રા અને પુણાના બે જોબવર્કરને લેસ ફીટીંગ અને ડાયમંડ લગાડવા માટે આપી હતી. પરંતુ બંને જોબવર્ક કરી સાડી પરત કરવાને બદલે ફરાર થઈ જતા છેવટે વેપારીએ બંને વિરૂદ્ધ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલ સ્તુતી રેસીડન્સી સી/4/502માં રહેતા 38 વર્ષીય અમિતભાઈ રઘુનાથ રાઘાણી ભાઠેના સ્થિત મિલેનિયમ 4 માર્કેટમાં કનૈયા ટેક્ષટાઇલના નામે સાડીનો વેપાર કરે છે. ગત 16 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર 2020 દરમિયાન તેમણે રૂ.38,81,555 ની કિંમતની 7745 નંગ સાડી બે જોબવર્કર અંકુરભાઇ મનજીભાઇ માણીયા (રહે. પ્લોટ નં.68, મમતા પાર્ક, કાપોદ્રા, સુરત. મુળ રહે. નેસડી, તા. પાલીતાણા, જી.ભાવનગર) અને વિનુભાઇ પ્રેમજીભાઇ ગોહીલ (ઉ.વ.58,રહે.285,રંગ અવધુત સોસાયટી-2, પુણાગામ, સુરત. મુળરહે.ગણેશગઢ, તા.સાવરકુંડલા, જી.અમરેલી)ને લેસ ફીટીંગ અને ડાયમંડ લગાડવા માટે આપી હતી.