કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાની અકિલા સાથે વાતચીત
રેમડેસિવિર ઇંજેક્ષન બનાવવા નવા ૨૨ પ્લાન્ટને મંજૂરી : રોજના ૩ લાખ બનશે
રાજકોટ,તા. ૨૨: રાજ્યમાં અને દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને ધ્યાને રાખીને ભારત સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇંજેક્ષનનું ઉત્પાદન વધારવા પ્રયાસો હાથ ધર્યા છે. એક પખવાડિયા પછી દર મહિને ૯૦ લાખ જેટલા ઇંજેક્ષનો બનવા લાગશે.
કેન્દ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દેશમાં ૭ કંપનીઓ રેમડેસિવિર ઇંજેક્ષન બનાવે છે. અગાઉના ૨૦ પ્લાન્ટ કાર્યરત છે. ઇંજેક્ષનની માંગને પહોંચી વળવા સરકારે છેલ્લા ૧૦ દિવસમાં નવા ૨૨ ઇંજેક્ષન પ્લાનને મંજુરી આપી છે. દૈનિક ૧.૨૫ લાખ ઇંજેક્ષન ઉત્પાદનની ક્ષમતા વધીને હાલ ૧.૫૦ લાખ થઇ છે. નવા મંજુર કરાયેલા પ્લાન્ટ કાર્યરત થયા પછી ઇંજેક્ષન ઉત્પાદન ક્ષમતા રોજની ૩ લાખ જેટલી થઇ જશે. આવતા ૧૫ દિવસમાં આ ક્ષમતા સિધ્ધ કરવાનો લક્ષ્યાંક છે.