છેલ્લા ૧૦ વર્ષમાં રાજય સરકારે ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂ. રપ૦ કરોડની સહાય આપી
રાજકોટ, તા. રર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો
રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમ થી ખાતર્રબિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે
રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે ૧૦ વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે કુલ ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂ. ૨૫૦ કરોડની સહાય આપી છે
આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક સમૃદ્ધિ મેળવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતો ને સંબોધન કર્યું હતું
તેમણે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોના પરિવારોના શિક્ષણ આરોગ્ય રોજગારી સહિતના સર્વગ્રાહી વિકાસ ને નવી દિશા મળી છે તેવો મત પણ વ્યકત કર્યો હતો
શ્રી વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે રાજ્યના આદિજાતી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તે દ્વારા પણ સારું ખેત ઉત્પાદન મેળવે તેવી નેમ રાખી છે. ડાંગ જિલ્લા ને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી નો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે
રાજ્યના આદિજાતી ખેડૂતો તેમને મળનારી સહાય લાભથી આ વર્ષે વધુ ખેત પેદાશો ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યકત કર્યો હતો
કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા તેમજ આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.