ભીલોડામાં મહિલા પોલીસકર્મીનો ઘરકંકાસથી કંટાળી આપઘાત
અમદાવાદ તા. ૨૨ : રાજયમાં વધી રહેલા આપઘાતના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. જેમા હવે તો પોલીસ કર્મીઓના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડામાં વધું એક મહિલા પોલીસકર્મના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. સાથે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મહિલા પોલીસકર્મીએ પોલીસ લાઈન કવાર્ટસમાંજ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમા ગળે ફાંસો ખાઈને તેમણે મોતને વ્હાલું કરી લીધું છે. મહિલા પોલીસ કર્મી LRDમાં ફરજ બજાવતા હતા. તેમની ઉંમર ૨૯ વર્ષ હતી. સાથેજ તેમનું નામ મંગુબેન નિનામે હોવાનું સામે આવ્યું છે.
મૃતક મહિલા પોલીસના તેના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેના કારણે તેમણે ઘરકંકાસમાં જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું તેવું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. જોકે આ મામલે હજું સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુ આપઘાતને કારણે પોલીસ બેડામા ખળભળાટ મચી ઉઠ્યો છે.