ગુજરાત
News of Sunday, 22nd November 2020

પેરોલ પર છૂટેલા યુવકની વૃદ્ધે લાકડીના ઘા મારી હત્યા કરી

સુરતના માંગરોળ તાલુકાના રતોલા ગામની ઘટના : સજા ભોગવી રહેલો આરોપી પાંચ માસથી પેરોલ પર હતો

બારડોલી, તા. ૨૧ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં રતોલા ગામે રહેતા યુવાનને વૃદ્ધે માથાના ભાગે લાકડીના સપાટા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવાન લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી તે પેરોલ રજા મેળવી ઘરે આવ્યો હતો. તું મારા વિશે પોલીસમાં જાણ કરે છે તેમ કહી મગફળી નો પાક નહીં લેવા માટે બોલાચાલી થતાં વૃદ્ધે માથાના ભાગે લાકડીના સપાટા મારતા યુવાનનું મોત નીપજયું હતું.

અંગે મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાનાં રતોલા ગામે ગામિત ફળિયામાં રહેતા રામસીંગભાઈ સુમાભાઇ ચૌધરી (૪૫) નાઓ ગુનાના કામે લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યા હતા. અને તેઓ છેલ્લા પાંચ મહિનાથી પેરોલ રજા લઈ ઘરે આવ્યા હતા. તે સમયે ગામમાં મંદિર ફળિયામાં રહેતા પીલાજીભાઈ લખમણભાઈ ચૌધરી સાથે ખેતરમાં વાવેલ મગફળીના પાકની ઉપજ લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝગડો થયો હતો તે સમયે પીલાજીભાઈએ એકદમ ઉશ્કેરાઈજઈ રામસિંગભાઇને માથાના ભાગે લાકડીના પાંચથી સપાટા મારી દેતા રામસિંગભાઈનું મોત નીપજયું હતું. બનાવ અંગે માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:55 pm IST)