જો તારી બહેન સાથે વાત કરતા રોકીશ તો હું નહીં કાં તારી બહેન નહીં: અમદાવાદમાં સગીરાને હેરાન કરતા પોલીસ પુત્રએ ધમકી આપી
અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં રહેતી સગીરાને હેરાન કરતા પોલીસ પુત્રએ તેના ભાઈને ધમકી આપી હતી કે, ‘જો તારી બહેન સાથે વાત કરતા રોકીશ તો હું નહી કા તારી બહેન નહી.’ હાલ આ બનાવ અંગે નારણપુરા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોતાની ભાણીને અવારનવાર હેરાન કરતા યુવક વિરુદ્ધ સગીરાના મામાએ 4 દિવસ અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા પોલીસે યુવકને અટક કરી અટકાયતી પગલાં લઈ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ છુટેલા યુવકે સગીરાના ભાઈને રસ્તામાં રોકી પોલીસ મારું કંઈ બગાડી નહી લે, તેમ કહી ધમકી આપી હતી.
નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ટીફીન સર્વિસ પુરી પાડતા વિભાબેન (નામ બદલ્યું છે)ના પતિનું 2018માં અવસાન થયું હતું. પતિના અવસાન બાદ ઘરે બેઠા ટીફીન સર્વિસનો વેપાર કરી વિભાબેન પુત્ર અને 17 વર્ષીય પુત્રીનું ભરણપોષણ કરે છે.
વિભાબેનના પુત્રનો મિત્ર દેવરાજ છેલ્લા 4 વર્ષથી તેઓના ઘરે આવતો હતો. આ દરમિયાનમાં દેવરાજ વિભાબેનની પુત્રી ખ્યાતી (નામ બદલ્યું છે) સાથે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે ટેલિફોન પર વાતચીતનો દોર શરૂ થયો હતો. આ બાબતની જાણ થતાં પરિવારે પુત્રી ખ્યાતિને દેવરાજ સાથે સબંધ ના રાખવા સમજાવી હતી.
ખ્યાતીએ પરિવારની વાત માની દેવરાજ સાથે વાતચીત બંધ કરી દીધી તેમજ પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાંખ્યો હતો. ગત તા.20-1-2021ના રોજ દેવરાજ ઝાલાએ ખ્યાતીને રસ્તામાં રોકી ધમકી આપી વાતચીત કરવા દબાણ કર્યું હતું.
ખ્યાતીએ ઘરે જઈને આ બાબતે વાત કરતા વિભાબેને બનાવની જાણ પોતાના ભાઈને કરી હતી. ભાણીને પરેશાન કરતા યુવક દેવરાજ ઝાલા વિરુદ્ધ ખ્યાતીના મામાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.
પોલીસે આ મામલે દેવરાજને અટક કરી તેની વિરુદ્ધ કલમ 151 મુજબ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ પણ ન સુધરેલા દેવરાજે ખ્યાતીને ટ્યુશન ક્લાસમાં છોડીને ઘરે પરત આવતા તેના ભાઈને ગત બુધવારે બપોરે 1.30 વાગ્યે શાસ્ત્રીનગર શ્રીનાથ શાકભાજીની દુકાન આગળ રોક્યો હતો.
દેવરાજે ખ્યાતીના ભાઈને જણાવ્યું કે, હું પોલીસમાંથી છૂટી ગયો છું. પોલીસ મારૂં કઈ બગાડી પણ નહી લે અને હું તારી બહેન સાથે વાત કરીશ. જો તું મને તારી બહેન સાથે વાત નહી કરવા દે તો હું નહી કા તો તારી બહેન નહી તેવી ધમકી આપી તે નીકળી ગયો હતો.
આ ઘટનાથી ગભરાઈ ગયેલા ખ્યાતીના ભાઈએ બનાવની જાણ માતા અને મામાને કરી હતી. આ બનાવ અંગે શુકવારે નારણપુરા પોલીસે દેવરાજસિંહ ભીખુસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.