આણંદ નજીક કરમસદમાં રૂપિયાની લેતીદેતી મામલે વેપારીનું અપહરણ કરી ગડદાપાટુનો માર મારનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આણંદ:નજીક આવેલા કરમસદ ખાતેથી રૂપિયાની લેતીદેતી બાબતે વેપારીનુ તેમની દુકાનેથી કારમાં અપહરણ કરીને અલગ-અલગ જગ્યાઓએ ફેરવીને ગડદાપાટુનો માર મારીને મોબાઈલ ફોન લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાનગર પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરીને ત્રણેયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદની હાથીભાઈની ખડકીમાં આવેલા શ્રીજી કૃપા બંગલો ખાતે રહેતા ફરિયાદી કૌશિકભાઈ સુરેન્દ્રપ્રસાદ બ્રહ્મભટ્ટની કાપડની દુકાન આવેલી છે. તેમનો પુત્ર આકાશ બે મહિના પહેલા જ યુગાન્ડા ગયો હતો. દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે વિકેન હર્ષદભાઈ પટેલ અને જલ્પન ચાવડા બન્ને કૌશિકભાઈના ઘરે ગયા હતા અને તેમની પત્નીને તારા પુત્ર પાસે અમારે પૈસા લેવાના છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ત્યાંથી કૌશિકભાઈની દુકાને ગયા હતા અને વિકેને તારા છોકરાના પૈસા તુ મને આપી દે, તેમ કહીને ચાલો આપણે બહાર જઈએ તેમ જણાવીને તળાવ ઉપર લઈ જઈને ત્યાં ઉભેલી એક વેગનઆર કારમા બોચુ પકડીને બેસાડી દીધા હતા અને અપહરણ કરીને બાકરોલ પાટીયા તરફ આવેલા તબેલાએ લઈ ગયા હતા.