અમદાવાદની સાબરમતી પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા ઉપર નદીના પાણીમાંથી 1 મહિનાની નવજાત બાળાનો મૃતદેહ મળ્યોઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ
અમદાવાદ: સાબરમતી નદીમાંથી માત્ર એક માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા પર નદીના પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બાળકીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.
જો કે હાલ સુધી બાળકીની કોઈ ઓળખ થઈ શકી ન હતી. જ્યારે બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન પણ મળી આવ્યા નથી. અને ઓળખ માટેના કોઈ નિશાન પણ મળી આવ્યા નથી. જો કે પોલીસ ને આશંકા છે કે બાળકીની ઉંમર એકાદ મહિનાની હોય શકે છે. હાલ માં પોલીસે બાળકીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે. આ બાળકીને કોણ નાખી ગયું છે ? તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસ એ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં ભ્રુણ હત્યાના કિસ્સામાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં જ પંચમહાલમાં જાહેરમાં ભ્રુણ હત્યાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યાં અમદાવાદનાં સાબરમતીમાં બાળકી તરતી મળી આવતા ચકચાર મચી છે.