હવે વધુ વરસાદ થાય તો શિયાળુ પાકને આગોતરો ફાયદો
મગફળીને ઓછુ નુકશાન, કપાસ પર વધુ ખતરોઃ સૌરાષ્ટ્રનો મુખ્ય રવિ પાક ઘઉં, ચણા, જીરૂ
રાજકોટ,તા. ૨૩ : ગુજરાતમાં મેઘરાજાએ ઓગષ્ટમાં બહુ રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં વહાલ વરસાવ્યું છે. ચાલુ મહિને જયાં અતિ વરસાદ થયો છે તેવા બે-ત્રણ જિલ્લા સિવાઇના વિસ્તારોમાં કપાસ-મગફળીમાં વાવેતરને ફાયદો થયો છે હવે આગાહી મુજબ વધુ વરસાદ થાય તો મગફળીને ઓછુ નુકશાન થઇ શકે પણ કપાસને નુકશાન થઇ શકે છે. ખેડૂતો માટે ખરીફ પાકમાં ગયા વર્ષે કરતા નબળુ વર્ષ છે. મગફળી દિવાળી આસપાસ બજારમાં આવશે.
હવે આગાહી મુજબ વરસાદ વરસે તો ખરીફ પાકને ફાયદા -નુકશાન વિષે બે મત પ્રવર્તે છે પરંતુ આવા સંજોગોમાં શિયાળુ પાકેન ચોક્કસ આગોતરો ફાયદો થઇ શકે છે. જમીનમાં અને ડેમોમાં પાણી સંગ્રહ થવાથી તે પાણી શિયાળુ પાકમાં ઉપયોગી થઇ શકે. સૌરાષ્ટ્રમાં શિયાળામાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરૂનું વાવેતર થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે તા. ૨૫ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવાર સુધીની સ્થિતીએ સરેરાશ ૭૯.૮૦ ટકા વરસાદ થયો છે. હજુ ૨૦ ટકા વરસાદની ઘટ છે.