નગરપાલિકા કમિશનર કચેરીની મુલાકાતે રાજ્ય મંત્રી
પાણી, ગટર વગેરે પ્રશ્ને લોકોને અગવડતા ન થાય તે જોવા મંત્રી મોરડિયાની તાકીદ
રાજ્યના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડિયાએ ગાંધીનગરમાં નગરપાલિકાઓના મુખ્ય કમિશનર કચેરીની મુલાકાત લેતા કમિશનર રાજકુમાર બેનીવાલે સ્વાગત કરેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ૨૩ : રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઇ મોરડિયાએ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશનની કચેરીની મુલાકાત લીધી હતી.
કર્મયોગી ભવન-૧ સ્થિત ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં કમિશ્નરશ્રી રાજકુમાર બેનીવાલ દ્વારા ત્રણેય કચેરીઓમાં થતી કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતું.
મંત્રીશ્રીએ રસપુર્વક અને ઊંડાણથી દરેક કામગીરીની વિગત મેળવી જરૂરી સુચનો કર્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાંપ્રત કામગીરી અંગે કોઇ પણ રજુઆત અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસપણે તેમના સ્તરે લાવવામાં આવે જેથી તેઓ વિકાસ કાર્યમાં સંભવતઃ તમામ મદદ કરી શકે.
મંત્રીશ્રી દ્વારા ફાટકમુકત ગુજરાત અભિયાન, નલ સે જલ, સ્માર્ટસીટી, સોલાર પ્રોજેકટ, અમૃત મિશન સહિતના વિવિધ આયોજનો તથા યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.