ગુજરાત
News of Friday, 23rd September 2022

રાજ્‍યમાં રસ્‍તાઓના રિસરફેસીંગ કામો માટે પ૦૮.૬૪ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપતા ભૂપેન્‍દ્રભાઈ પટેલ

નાગરિકો સુવિધાયુકત સલામત અને સુરક્ષિત મુસાફરી કરી શકે તેવો ઉદાત્ત અભિગમ અપનાવતા મુખ્‍યમંત્રી : રાજ્‍યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ૭૯૦ કિ.મી લંબાઇમાં રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં

રાજકોટ તા.૨૩ : મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા ઉદાત્ત અભિગમથી રાજ્‍યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે.

રાજ્‍યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા ૯૮ રસ્‍તાઓના કુલ ૭પ૬ કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્‍યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

રાજ્‍ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્‍યાપક સ્‍તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.

તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્‍થિતીએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે.

એટલું જ નહિ, ર૭૬૩ કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. ૧૭૬ર કરોડના કામો ટેન્‍ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍યના માર્ગોના નેટવર્ક અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.

(1:41 pm IST)