નર્મદા: મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે આ તમામ મૃતકોના મૃત્યુના જવાબદાર ભાજપ સરકાર છે. ચૈતર વસાવા જંગી બહુમતીથી જીતશે
સાગબારા તાલુકાના કોંગ્રેસ, બિટીપી તેમજ બીજેપીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા ચૂંટણીના પરિણામો બાદ મેદાન માં કોણ રમશે એ જોઈ શકાશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા કોંગ્રેસ, બિટીપી તેમજ બીજેપીના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સાગબારા તાલુકાના કોંગ્રેસ,બિટીપી તેમજ બીજેપીના મોટી સંખ્યામાં કાર્યકર્તા પોતાની પાર્ટીને રામ રામ કરી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સંજય સિંહ ખાસ હાજર રહ્યા હતા. તેમણે આપ માં સામેલ થયેલા તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ દ્વારા જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી વગેરે બાબતો પર તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જાતિ ધર્મ પર રાજનીતિ કરતી ભાજપ સરકારને આમ આદમી પાર્ટીએ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી જેવી બાબતો પર ચર્ચા કરવા મજબૂર કરી દીધી છે. રાજકીય પાર્ટીઓમાં જમ્મુ કાશ્મીર થી લઈ કન્યાકુમારી અને ગુજરાત થી લઈને અસમ સુધી પરિવાર વાદ ચલાવતી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક સામાન્ય ખેડૂત પુત્રને ધારાસભ્યની ટીકીટ આપતી હોવાની વાત કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે એક ઘડિયાળ બનાવતી કંપનીને 2 કરોડ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં ફક્ત 12 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તમામ મૃતકોના મૃત્યુના જવાબદાર ભાજપ સરકાર છે. તેમણે ચૈતર વસાવા જંગી બહુમતી થી જીતે છે તેમજ કેજરીવાલ સરકારની ગેરંટીઓને સ્વીકારી ગુજરાત ની જનતા પરિવર્તન લાવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેમ જણાવ્યું હતું.