ગુજરાત
News of Sunday, 23rd January 2022

બાઇક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત: બે સગાભાઇ સહીત ત્રણ લોકોના ઘટનસ્થળે મોત

હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટી બસ અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત

મહિસાગરના સંતરામપુર તાલુકાના હિરાપુર ગામ પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં.27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) ઘરેથી હીરાપુર ગામ તરફ જવા ગયા હતા. ત્યારે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટી બસ અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણેય લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે ગામના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે.  

અકસ્માતમાં મૃત્ય પામનાર યુવાનોના પરિવાર જનોને ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી મુજબ અકસ્માત એટલે ભયાનક હતો કે મૃતદેહ અકસ્માતના સ્થળેથી 100 મીટર દૂરથી મળ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)