ગુજરાત
News of Monday, 24th January 2022

આણંદના ઠક્કર ખમણથી પ્રખ્‍યાત વેપારી અમિત ઠક્કરે પત્‍નીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારીઃ સાસરીયાએ એવી વાર્તા ઘડી કે પોલીસ પણ ગોથા ખાઇ ગઇ

બોરસદ ગ્રામ્‍ય પોલીસની આરોપીઓને છાવરતી હોવાની ભૂમિકાથી અનેક સવાલો

આણંદ: આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત થયા ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીની પત્નીનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી પિયરીયાઓએ દીકરીના હત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ ભેદ ખૂલ્યો હતો કે, પરિણીતાની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે પતિ અને પરિણીતાના જેઠની જ ધરપકડ કરી હતી. જ્યારે બાકીના સાસુ-સસરા સહિતના પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો પેદા થયા છે.

આણંદ-બોરસદ રોડ પર ઠક્કર ખમણ હાઉસ આવેલુ છે, જે આ વિસ્તારમાં પોપ્યુલર છે. ખમણના વેપારી અમિત ઠક્કરના લગ્ન સુરતના રોક્ષા નામની યુવતી સાથે થયા હતા. પંદર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. જેના બાદ તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મંગળવારે સવારે રોક્ષાબેન પોતાના બાથરૂમમાં ન્હાવા ગયા હતા, તેના બાદ તેમનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેઓ મૃત જાહેર કરાયા હતા. પિયરના લોકોની ફરિયાદના આધારે પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. જેમા સામે આવ્યુ કે, પતિ અમિત ઠક્કરે જ પત્ની રોક્ષાની ગળુ દબાવીને હત્યા કરી હતી.

આ ઘટના બાદ આણંદ પોલીસે પતિ અને પરિણીતાના જેઠની જ ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં સાત લોકોના નામ સામેલ હતા. પરંતુ  પરિવારના પાંચ સભ્યો સસરા પ્રવિણ મગનલાલ ઠક્કર, સાસુ ગીતા ઠક્કર, કાકા સસરા વિજય મગન ઠક્કર, કાકી સાસુ ચંદન વિજય ઠક્કર, જેઠાણી ભક્તિ ઉર્ફે પૂંજા મનોજ ઠક્કર પોલીસ પકડથી બચવા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.ત્યારે બોરસદ ગ્રામ્ય પોલીસની આરોપીઓને છાવરતી ભૂમિકા સામે આવી છે.

બોરસદ પોલીસની કામગીરી અનેક સવાલો પેદા કરે છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવામાં ચાર દિવસનો વિલંબ કર્યો હતો. પોલીસે પરિણીતાના પિયરના લોકોને 22 કલાક પોલીસ મથકમાં બેસાડી રાખ્યા બાદ ફરિયાદ નોંધી હતી. સમગ્ર ઘટનામાં આરોપીઓ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કાવતરાની કલમ અને પોલીસને ગેરમાર્ગે દોરવાની કલમનો ઉલ્લેખ કેમ નથી કર્યો. પોલીસે હત્યારા પતિ અને જેઠની ઘરપકડ કરી છે. પોલીસે બંને આરોપીને સાથે રાખી સ્થળ તપાસ કરી છે. ત્યારે પોલીસે અન્ય સાસરિયાઓ ઘરપકડ નહીં કરી ભાગવા માટે સમય કેમ આપ્યો? હત્યાની ઘટનામાં પાંચ આરોપીઓ પોલીસની નાક નીચેથી કેવી રીતે ફરાર થઈ ગયા.

(4:13 pm IST)