ગુજરાત
News of Monday, 24th January 2022

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં બસ-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના ત્રણ યુવાનના મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

મહીસાગર: જિલ્લાના સંતરામપુર તાલુકામાં હીરાપુર ગામ પાસે પઠાણ ટેકરીના વળાંકમાં બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક પરિવારના યુવાનનું મોત નીપજ્યું છે. જેને પગલે પરિવાર શોકમગ્ન બની ગયો છે.

સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઈ અજય લાલસિંગ ખરાડી (.૨૦), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં.૨૭) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં.૨૫) ઘરેથી હીરાપુર આવવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર પાસે પઠામ ટેકરીના વળાંકમાં ઝાલોદ - અમદાવાદ બસનો બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઈક ઘૂસી ગયું હતું. અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણેય યુવાનનું મોત નીપજ્યું હતું. એક પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજનોએ આક્રંદ કર્યુ ંહતું. ઘટનાને પગલે આજુબાજુ ગામના લોકો ભેગા થઈ ગયા હતા. જે લોકોએ સંતરામપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને ત્રણેયનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. હિરાપુર ગામ પાસેની પઠાણ ટેકરીના વળાંકમાં વારંવાર અકસ્માત સર્જાતા રહે છે વળાંકમાં કેટલા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે વળાંકમાં વધુ અકસ્માત ના સર્જાય તે માટે તંત્ર જરૂરી પગલાં ભરે તેવી લોકોમાં ચર્ચા જાગી છે.

(6:46 pm IST)