ઠાસરા તાલુકામાં મરઘાકુઈ રોડ નજીક બાઈક સાથે રોઝડું અથડાતા બાઈક ચાલક સહીત ત્રણ ઈજાગ્રસ્ત
નડિયાદ : ઠાસરા તાલુકાના મરઘાકૂઈ રોડ પર રોઝ આડું પડતા મોટર સાયકલ સાથે અથડાયું હતું. આ અકસ્માત સર્જાતાં બાઇક ચાલક સહિત ત્રણને ઇજા થઇ હતી. જે પૈકી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઠાસરા તાલુકાના ભદ્રાસાના મંજુલાબેન પ્રભાતભાઈ ભોઈ તેમના દીકરા દિલીપની બાઇક પર દેરાણી જયશ્રી બેનને સાથે લઈ કોઈ કામ અર્થે ઠાસરા જવા નીકળ્યાં હતાં. તેઓ નેસ થઇ મરઘાં કુઈ સીમમાંથી પસાર થતાં હતાં ત્યારે અચાનક વાડમાંથી નીકળેલું રોઝ દોડતું દોડતું રોડ પર આવી ગયું હતું. એકાએક રસ્તા વચ્ચે આવેલું રોઝ બાઇક સાથે અથડાયું હતું. રોઝ અને બાઇક વચ્ચેની ટક્કરથી બાઇક સવાર ત્રણેને રોડ પર પટકાતાં ઇજા થઇ હતી. આ અકસ્માત થતાં સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં અને ૧૦૮ ને બોલાવી બાઇક ચાલક દિલીપભાઇ ભોઈ, માતા મંજુલાબેન તેમજ જયશ્રી બેનને ઇજા થતાં ત્રણેને તુરંત સારવાર માટે નડીઆદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં જયશ્રી બેન અરવિંદભાઈ ભોઈની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં મહિલાનું શનિવારે રાત્રે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મંજુબેન ભોઇની ફરિયાદ આધારે ડાકોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.