News of Monday, 24th January 2022
નર્મદા જિલ્લામાં ૩૮૧ જેટલાં પોલીયો બુથ દ્વારા ૪૮,૭૪૨ જેટલા બાળકોને પલ્સ પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાશે
તા.૨૭ મી ફેબ્રુઆરીએ જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્યસરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા તા.૨૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૨થી યોજાનારા ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં ૩૮૧ પોલીયો બુથ દ્વારા જિલ્લામાં અંદાજીત ૧.૨૩ લાખ ઘર, ૪૮,૭૪૨ જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. ૨૩ ટ્રાન્ઝીક્ટ પોઈન્ટ, ૩ મેળા/બજાર, ૬૮ જેટલી મોબાઇલ ટીમ, ૯૮ જેટલી ટીમ સુપરવાઇઝરો અને ૧,૭૩૪ જેટલા આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં જોડાશે.
(10:34 pm IST)