ગુજરાત
News of Monday, 24th January 2022

અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓને કોરોના રસીનો પ્રિ-કોશન ડોઝ અપાશે

પાલડીના ટાગોર હોલ ખાતે સવારે 10થી સાંજ છ વાગ્યા સુધી બે દિવસ ખાસ રસીકરણ કાર્યક્રમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 કર્મચારી અને અધિકારી કોરોના સંક્રમિત થયા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તમામ સ્ટાફને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ લેવા આદેશ કર્યો છે પાલડીના ટાગોર હોલ ખાતે સવારે 10થી સાંજ છ વાગ્યા સુધી બે દિવસ ખાસ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને સંક્રમણથી બચાવવા બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

એએમસીના 130થી વધારે કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે.જેમાં એએમસીની વિવિધ ઝોનલ અને સબ ઝોનલ કચેરીઓ તથા સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા એએમસીની તમામ ઓફિસોમાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વેકસીનના બંને ડોઝ લેનાર લોકોને જ ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવે છે.ઓફિસમાં પ્રવેશતી વખતે તમામ લોકોનું ટેમ્પ્રેશર ચેક કરવા તાકીદ કરાઈ છે. સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફિસમાં લોકોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જોખમને લઈને AMC દ્વારા આ જોખમને ટાળવા બનતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. AMC દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ દ્વારા લોકોને કોરોનાના નિયમો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટેની લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર એકમો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કે ફેક્ટરીમાં નિયમોનું પાલન નહીં થાય તો પગલાં લેવાની પણ સૂચના અપાઈ રહી છે.

(12:30 am IST)