ગુજરાત
News of Saturday, 23rd October 2021

અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે તમે સૂચનો આપો ,લોકોના કામ અમે કરશું: ભુપેન્દ્રભાઈ પટેલ

અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય. GICEA ના 75માં વર્ષની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન

અમદાવાદ: GICEA ના 75માં વર્ષની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસમાં એન્જિનિયર અને આર્કિટેકટની ભૂમિકા સરખી છે. આઝાદીના 75 વર્ષ થયાં છે. અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે. તમે અમને સૂચનો આપો અને લોકોના કામ અમે કરીશું. અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક એ કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય.

GICEA ના 75 માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આયોજિત GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે હાજરી આપી હતી. જો કે, મુખ્યમંત્રી બન્યા પહેલા ભુપેન્દ્રભાઈ  પટેલ આ સંસ્થાના સભ્ય હતા. GICEA સિવિલ એન્જીનિયર્સ અને આર્કિટેક્ટ્સની પાયોનિયર સંસ્થા છે. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ વિકાસમાં એન્જીનિયર અને આર્કિટેકટની ભૂમિકા એક સરખી છે. પહેલા ઈંચનો હિસાબ નહીં અને ફૂટનો ફરક નહીં એવા બિલ્ડીંગો જોયા છે. પણ હવે એકદમ પ્લાનિંગ સાથે બિલ્ડીંગ બને છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઘરમાં આવવાનું અને પરિવાર વચ્ચે બોલવાનું એમાંય સુરેન્દ્ર કાકા બેઠા હોય. કોઈપણ મુશ્કેલીઓ આવે સુરેન્દ્ર કાકા પાસે જ જવું પડે અને કાકા રસ્તો બતાવે જ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાનું શીખવે છે. આઝાદીના 75 વર્ષ થયાં છે અને નાની નાની વસ્તુઓ અંગે પ્રધાનમંત્રીએ વાત કરવી પડી હતી. કલાઈમેન્ટ ચેન્જની વાત નરેન્દ્રભાઈએ વર્ષો પહેલા કરી હતી.

કોઈને હવે ઝાડ ઉગાડવા કહેવું પડતું નથી, એ જ બતાવે છે કે જાગૃતિ આવી છે. આપણે તો ટીપી, ડીપી અને કપાતમાં જ રહ્યા, કપાત આવે એટલે આપણને તકલીફ પડે છે. હમણાં અહીં નવી ટેક્નોલોજીની વાત થઈ તો આવા ચશ્મા સરકાર પાસે પણ હોવા જોઈએ. અધિકારીઓ પહેરીને ફરે તો અમને પણ તકલીફ ના પડે અને તમને પણ તકલીફ ના પડવા દે. લોકોને ફાયદો કરતી કોઈપણ વસ્તુ ઝડપી કરવામાં આપણને રસ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે. નરેન્દ્રભાઈએ કંડારેલી કેડી પર ચાલવાનું છે અને લોકોના કામ કરવાના છે. મુખ્યમંત્રી બન્યો એટલે બધી જ વાત ખબર હોય કે બધું આવડતું હોય એ શક્ય નથી. તમે અમને સૂચનો આપો અને લોકોના કામ અમે કરીશું. અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક એ કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય.

(12:22 am IST)