કોરોના મહામારીને કારણે સિદ્ધપુરમાં પારંપરિક ભરાતો 7 દિવસીય કાત્યોકનો મેળો રદ કરાયો
26 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભરાનાર કાત્યોકનો મેળો નહીં યોજાય
અમદાવાદ :કોરોના મહામારીના કારણે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સિદ્ધપુરમાં દર વર્ષે ભરાતો કાત્યોકનો મેળો આ સાલે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સિદ્ધપુરમાં પ્રાચીન પરંપરાથી સરસ્વતી નદી કિનારે કારતક માસની પૂનમ સુધી પિતૃતર્પણ કરવાનું મહત્વ હોય સિદ્ધપુરમાં દર વર્ષે 10 થી 12 લાખ લોકો પોતાના પરિવાર સાથે સિદ્ધપુરમાં પિતૃતર્પણ કરી સરસ્વતી નદીના પટમાં ભરાતા મેળામાં આવે છે. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીને કારણે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરંપરાગત મેળાઓ કે જ્યાં લોકોની ભીડ થતી હોય તેની મંજૂરી આપવામાં આવી નથી.
કોરોના સંક્રમણનો પીક સમય ચાલતો હોય સિદ્ધપુરમાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈ આ વર્ષ કાર્તિક માસમાં બારસથી વદ બીજ સુધી એટલે કે 26 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભરાનાર કાત્યોકનો કોરોના મહામારીના કારણે મેળો રદ કરવામાં આવ્યો છે તેમ સિદ્ધપુર મામલતદાર કનકસિંહ ગોહિલે જણાવ્યું હતું.