કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી
કપડવંજ:તાલુકામાં આવેલી ખેડૂતો માટેની આશિર્વાદરૂપ નર્મદા નહેર હાલ ખેડૂતો માટે અભિશાપ બની હોવાનું દેખાઇ રહ્યું છે. કપડવંજ તાલુકાની નર્મદાની મુખ્ય નહેરમાં ગાબડુ પડેલું દ્રશ્યમાન થઇ રહ્યું છે. આ ઉપરાંત સુકીભઠ પેટા કેનાલ અને સબ કેનાલમાંથી માઇનોર કેનાલ તુટેલી જોવા મળી રહી છે.
આમ, નર્મદા વિભાગની જોહુકમીનો ભોગ તાલુકાના સાલોડ, લીલવા,દહીઅપ,જરમાળા તરફથી કઠલાલ જતી નહેરના લાભાર્થી ખેડુતો ભોગવી રહ્યા હોવાનું ધરતીપુત્રો આક્ષેપ કરી રહ્યા છે.
આ ઉપરાંત આ નર્મદા કેનાલમાં પાણી નિયમિત મળતું ન હોવાનુ પણ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.કેટલીક માઇનોર કેનાલમાં તો એક ટીપુ પાણી આવતુ નથી. જ્યારે દાણા થી લીલવા- જરમાળા તરફના સ્થાનિક ખેડુતોએ કેનાલમાં પાણીની અનિયમિતતાના કારણે ડાંગર વાવવાનુ જ બંધ કરી દીધુ છે. આ વિસ્તારના ખેડૂતોએ સંબંધિત વિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અધિકારીઓ વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.