મુખ્યમંત્રી અને મંત્રીઓ ગુજરાતને ધમરોળશે
કેન્દ્રના મંત્રીઓની જનઆશિર્વાદ યાત્રા જેવી યાત્રાનું આયોજન થઇ રહ્યું છે : ૨૦૨૨ની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત : નવી સરકાર નવી ઉર્જાથી ભરપૂર હોવાનો કાર્યકરો અને પ્રજાને અહેસાસ કરાવવાનો પ્રયાસ : વ્યાપક પ્રચાર અભિયાન
રાજકોટ તા. ૨૫ : રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાતા હવે બે દિવસીય વિધાનસભા સત્ર પછી આખા મંત્રી મંડળના વ્યાપક પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ રાજ્યના લગભગ તમામ મતક્ષેત્રોનો પ્રવાસ કરે તેવું સંગઠનનું આયોજન છે. કેન્દ્રના મંત્રીઓએ કરેલી જનઆશિર્વાદ યાત્રા જેવી યાત્રા રાજ્યના મંત્રીઓ કરે તેવા નિર્દેષ છે.
મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના ચહેરા વિવિધ વિસ્તારોમાં જાણીતા થાય અને સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચે તથા લોકોના ભાવ-પ્રતિભાવ અને પ્રશ્નો સરકાર સુધી પહોંચે તેવો હેતુ છે. દરેક મંત્રીને મુલાકાત લેવા માટે વિસ્તાર અને દિવસો નક્કી કરી દેવામાં આવશે. નવી સરકાર નવી ઉર્જાથી ભરપૂર હોવાનો કાર્યકરો અને પ્રજાને અહેસાસ કરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સરકારી તંત્ર અને કાર્યપધ્ધતિમાં ધરખમ ફેરફારો તોળાય છે.