વાપીમાં હવે પ્રદૂષણમાંથી મળશે રાહત: કરોડોના ખર્ચે ઉદ્યોગ નગરીમાં બનશે બે સુએઝ પ્લાન્ટ
ડ્રેનેજનું પાણી એસટીપીમાં શુદ્ધ થયા બાદ ફરી તેને ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાશે:ઉદ્યોગ ગૃહોને પાણીની તંગી નહીં પડે અને જમીન પણ શુદ્ધ રહેશે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ વાપીમાં 25થી 30 કરોડ રૂપિયાના ખર્ચે બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે. જે બાદ વાપીમાં ઉદ્યોગોના પ્રદૂષણમાં રાહત મળે તેવી શક્યતા છે. વાપી ઈન્ડસ્ટ્રીજ એસોસિએશનના એક ડેલિગેશને સંબંધિત વિભાગોને રજૂઆત કરી હતી. જે બાદ મંજૂરી મળતા હવે સુએઝ પ્લાન્ટની કામગીરી ઝડપથી શરૂ થશે. ડ્રેનેજનું પાણી એસટીપીમાં શુદ્ધ થયા બાદ ફરી તેને ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાશે. જેના પગલે ઉદ્યોગ ગૃહોને પાણીની તંગી નહીં પડે અને જમીન પણ શુદ્ધ રહેશે તો સ્થાનિકોને પ્રદૂષણના અજગરી ભરડામાંથી મોટી રાહત મળશે.
વાપી રહેણાંક વિસ્તાર ગુંજન અને ચણોદમાં 10 એમએલડીના બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે. હાલ ઝડપથી કામગીરી ચાલુ થાય તે માટે નાણામંત્રીના માર્ગદર્શન હેઠળ રજૂઆત કરી છે.આ સાથે નોટિફાઇડના રહેણાંક વિસ્તારમાં 40 વર્ષ જુની પાણીની લાઇન નાખવા પણ રજૂઆત કરવામાં આવી છે.