સુરતમાં ભાજપના સ્નેહમિલનમાં એસટી બસમાં બાળકો અને મહિલાઓને ઘેટાં બકરાની જેમ ભરી ભરીને લવાયા
ભીડ ભેગી કરવા એક જ બસમાં 80 જેટલા લોકોને ભરીને નિયમોના ધજાગરા ઉડાવ્યા
સુરતમાં ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યકર્મનું આયોજન કરાયું છે,કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે એસટી બસમાં બાળકો અને મહિલાઓને ઘેટાં બકરાની જેમ ભરી ભરીને લાવવામાં આવી રહ્યા છે. એક જ બસમાં 80 જેટલા લોકોને ભરીને નિયમોના ધજાગરા ઉડાવી દીધા છે. જો કે, કોઈએ પણ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાણવ્યું ન હતું.
સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. જે ભાજપનો આ શ્રેણીનો અંતિમ કાર્યક્રમ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ઉપસ્થિત રહેશે તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના 30 હજારથી વધુ કાર્યકરો આવશે તેવો દાવો કરાયો છે.
આજે શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખ્યો છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.