સુરતના અમરોલી વિસ્તારમાં ગૌમાંસનો જથ્થો રાખનાર બે આરોપી પૈકી એકને અદાલતે 2 વર્ષની કેદની સુનવણી કરી
સુરત:શહેરના અમરોલી ખાતે કોસાડ આવાસમાં વેચાણ માટે ઘરમાં ગૌમાંસનો જથ્થો રાખનાર બે પૈકી એક આરોપીને આજે થર્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) આર.એમ.ચાવડાએ ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમની કલમ 6 બી,8ના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની કેદ, રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ અને સહઆરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો. અમરોલી પોલીસ મથકના ફરીયાદી તપાસ અધિકારી આર.એસ.પાટીલે તા9-5-2015ના રોજ આરોપી મુસ્તાક મોહમદ પટેલ(રે.કોસાડ આવાસ બિલ્ડીંગ નં.140-બી20 અમરોલી) તથા મોહસીન નઝીર પટેલ વિરુધ્ધ ઈપીકો-295,429 તથા ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમની કલમ 6 બી,8ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓએ ભાગેડુ આરોપી ઈમ્તિયાઝ પાસેથી રૃ.25 હજારની કિંમતનો 250 કીલો ગૌ વંશના માંસનો જથ્થાની ખરીદ કરીને આરોપી મોહસીન પટેલે પોતાના ઘરમાં વેચાણ માટે રાખતા રંગે હાથે ઝડપાયા હતા. આજથી સાત વર્ષ પહેલાં બનેલા બનાવ અંગે બંને આરોપીઓ વિરુધ્ધ ન્યાયિક કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી કોર્ટ રેકર્ડ પરના પુરાવા તથા સરકારપક્ષે એપીપી આર.એસ.મોઢે બંને આરોપી પૈકી આરોપી મોહસીન નઝીર પટેલ વિરુધ્ધ પુરાવા સાથે કરેલી રજૂઆતો બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી છે. જ્યારે સહઆરોપી મુસ્તાક પટેલ વિરુધ્ધના કેસને શંકારહિત સાબિત કરવામાંં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહેતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.