છ મહાનગરપાલિકામાં ૨૮ લઘુમતી કોર્પોરેટરો ચૂંટાયા
અમદાવાદમાં કોંગ્રેસના ૧૨ અને એમઆઇએમએમના ૬, જામનગરમાં ૮, રાજકોટમાં એક અને ભાવનગરમાં એકઃ અમદાવાદમાં સંખ્યા ૨૦ થી ઘટીને ૧૮ થઇ
અમદાવાદ,તા. ૨૬: અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ કોર્પોરેટરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગત ટર્મમાં ૨૦ મુસ્લિમ કોર્પોરેટરો ચૂંટણી જીત્યા હતા. જો કે આ વખતે માત્ર ૧૮ ચૂંટણી જીતવામાં સફળ થયા છે. જેમાં ૧૨ કોંગ્રેસના અને ૬ એઆઇએમેઆઇએમનો થાય છે. આ ઉપરાંત ભાવનગર અને રાજકોટમાં ૧-૧ તેમજ જામનગરમાં ૮ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. દરિયાપુર અને શાહપુર વોર્ડની ચૂંટણીમાં કોમી એકતાના દર્શન થતાં કોંગ્રેસના ઉમેદવારો બેઠક જીતી શકયા છે.
આ વખતે અમદાવાદમાં મુસ્લિમ કોર્પોરેટરોની સંખ્યા ૧૮ પર પહોંચી છે. ગત ટર્મ કરતાં આ વખતે બે કોર્પોરેટરો ઓછા ચૂટ્યા છે.
વડોદરા અને સુરતામં એક પણ મુસ્લિમ કોર્પોરેટરો ચૂંટાયા નથી. જ્યારે જામનગરમાં ૮ મુસ્લિમ કોર્પોરેટરો ચૂંટણી જીતી શકયા છે. જેમાં કોંગ્રેસમાંથી ૭ અને બસપામાંથી આમ તમામ છ મહાનગરપાલિકાઓમાં મળી કુલ ૨૮ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં સફળ થયા છે. જેમાં કોંગ્રેસના ૨૧ ઉમેદવારોનો સમાવેશ થાય છે. દરિયાપુર બેઠક પર હિન્દુ અને મુસ્લિમ મતોની સંખ્યા લગભગ સરખી જેટલી છે. દરિયાપુર બેઠક પરથી એઆઇએમઆઇએમના ઉમેદવારો ૯૦૦૦ જેટલા મત લઇ ગયા હતા. આમ છતાં હિન્દુ મતદારોએ કોંગ્રેસ પર કળશ ઢોળતા દરિયાપુરની કોંગ્રેસની આખી પેનલ જીતી શકી હતી.