અમદાવાદના ખોખરામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો
અમદાવાદ: ખોખરા વોર્ડમાં ૧૩૨ ફૂટના રિંગ રોડ પર આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આખો રોડ પાણીના રેલાથી છલકાયોે હતો. વાહનચાલકોએ તેમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
ઉનાળામાં એકબાજુ પૂર્વના વિવિધ વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે. તેવામાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોખરામાં રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું હોવા અંગેની જાણકારી સ્થાનિક રહિશોએ મ્યુનિ.કોર્પોરેશનમાં કરી હોવા છતાં રવિવારની રજાના મૂડમાં અધિકારીઓ-કર્મચારીઓ ફરક્યા નહોતા.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સવારે સતત ૨ કલાક હજારો લીટર પાણી વેડફાયું હતું. તંત્ર દ્વારા સાંજે ૨૦ મિનિટ પાણી છોડાય છે ત્યારે પણ પાણીનો જબ્બર વ્યય જોવા મળ્યો હતો. વાહનચાલકોએ સાચવીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.