ગુજરાત
News of Thursday, 26th May 2022

ગંગાપુર ડેમ બનાવવા માટે સત્વરે સર્વે હાથ ધરીને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને મુખ્યમંત્રીનું સૂચન

ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ-સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓની બેઠક યોજાઈ: જનપ્રતિનિધિઓની રજૂઆતોનું સત્વરે યોગ્ય નિરાકરણ કરવામાં આવશે: મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંગાપુર ડેમ બનાવવા સત્વરે સર્વે હાથ ધરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને સુચન કર્યુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ડેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ બાદ જિલ્લાના જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી રજૂઆતોનું સત્વરે યોગ્ય અને વ્યાજબી નિરાકરણ કરવામાં આવશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ-ધારાસભ્યઓ સહિતના ઉપસ્થિત અન્ય પદાધિકારીઓએ ગંગાપુર ડેમને અનુલક્ષીને જણાવ્યું હતું કે, ગંગાપુર ડેમ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે અને કોઈ પણ પ્રકારની ખાનગી જમીનના સંપાદન વિના ડેમ બની શકે તેમ છે, ત્યારે આ ડેમ સત્વરે મંજૂર થાય તેવી સૌની લાગણી છે. 

આ બેઠકમાં સાંસદ-ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓએ રાજપીપળા શહેરની જૂની સિવિલ હોસ્પિટલને નવ-નિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવા, આદિવાસી વિસ્તારની ટ્યૂબવેલ આધારિત ખેતીમાં બોર મોટર અને ઇલેક્ટ્રિક મોટરની સુવિધા પુરી પાડવા, કરજણ ડેમ પાસે ભારે વરસાદના લીધે ધોવાણથી થતા નુકસાનને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની વિવિધ રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બેઠક દરમ્યાન કહ્યું કે, લોકશાહી શાસન પ્રણાલિમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને જિલ્લા પ્રશાસન વચ્ચેના સુસંકલનને લીધે લોકહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવતુ હોય છે. તેમણે જિલ્લામાં યોજનાઓના અમલમાં સેચ્યુરેશન પોઇન્ટ બાબતે પણ જાણકારી મેળવી હતી.
 આ બેઠકમાં મંત્રીઓ સર્વ કિરિટસિંહ રાણા, નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા (પંચાલ), સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ઉપ-પ્રમુખ કિરણભાઈ વસાવા, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, , જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ઈ. જિલ્લા કલેક્ટર અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, શ્રી શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા,નિલભાઈ રાવ સહિતના અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:31 am IST)