મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિ-રવિ બે દિવસ દિલ્હીના પ્રવાસે : નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની ૮મી બેઠકમાં શનિવારે સહભાગી થશે
નવનિર્મિત સંસદ ભવનના ઉદ્દઘાટન સમારોહમાં અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની પરિષદમાં ભાગ લેશે
રાજકોટ તા.૨૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવાર, તા. ર૭મી મે થી બે દિવસ નવી દિલ્હીના પ્રવાસે જશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં શનિવાર, તા. ર૭ મી મે ના સવારે ૧૦ કલાકથી યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની ૮ મી બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થશે.
નીતિ આયોગની આ ગવર્નિંગ કાઉન્સીલમાં દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર્સ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના મંત્રીશ્રીઓનો સમાવેશ કરવામાં આવેલો છે.
મુખ્યમંત્રીશ્રી આ બેઠક ઉપરાંત નવનિર્મિત સંસદ ભવનના તા.ર૮મી મે રવિવારે યોજાનારા ઉદ્દઘાટન સમારોહમાં તથા ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની પરિષદમાં પણ ઉપસ્થિત રહેવાના છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે અને તા.ર૯ મી મે સોમવારે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય ખાતે રાબેતા મુજબ મુલાકાતીઓને મુલાકાત માટે મળશે.