ગુજરાત
News of Thursday, 25th November 2021

વડોદરા દુષ્કર્મ કેસમાં એસઆઈટીની રચના કરાઈ

કેસને ઉકેલવા માટે DGP દ્વારા રચના કરવામાં આવી : એસઆઈટીની સીટમાં છ સિનિયર અધિકારીઓની સુપરવીઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે

વલસાડ,તા.૨૪ : વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિની કરેલા આપઘાત પ્રકરણમાં ૨૧ દિવસ બાદ પણ હજી પણ પોલીસની તપાસ ઠેરની ઠેર છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ આ કેસની તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે એસઆઈટીની પણ રચના પણ કરવામાં આવી છે. સીઆઈડી અને રેલવે આઈ.જી.પી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, એસઆઈટીની સીટમાં ૬ સિનિયર અધિકારીઓની સુપરવીઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે.  દુષ્કર્મ મામલે રેલવે એસપી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરાઈ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસને ઉકેલવા માટે ડીજીપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. અત્યાર સુધી અમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ કરી ૨૫૦ સીસીટીવી કેમેરાના વીડિયો ચેક કર્યા છે. જ્યારે ૩૦૦થી વધુ ગુનેગારોની પૂછતાછ પણ કરવામાં આવી છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે નવસારીની યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ ૧૦૦૦થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે.

        દુષ્કર્મનો બનાવ સાંજના ૬ ૩૦ વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાની ગૂંથ્થીને ઝડપથી તેનો ભેદ ઉકેલવા એસઆઈટીની રચના કરાઈ છે. રેલવે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સતત ગુનેગારોને પકડવા તમામ પ્રયાસ કરી રહી છે. જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત. બીજી તરફ તેમણે ઉમેર્યું હતું કે, ઓએસીસ સંસ્થા તરફથી હાલ સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના ૨૯મી એ બન્યો હતો અને આપઘાત ત્રણ તારીખે કર્યો હતો. ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલું છે. ભોગ બનનાર દીકરીએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પાનાંનો ફોટો પોલીસને સુપરત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.

           આરોપીઓને ઝડપી પાડવા એસ.આઇ.ટી ની ટીમમાં વડોદરા રેલવે એસ.પી પરીક્ષિતા રાઠોડ, ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા, રેલવે ડીવાયએસપી બીએસ જાધવ, વડોદરા રેલવે પીઆઈએબી જાડેજા, સુરત રેલવે પી.આઈ કે.એમ ચૌધરી, વલસાડ રેલવે પી.એસ.આઈ જે.બી.વ્યાસ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે (મંગળવારે) સાંજે એસઆઈટીના ગઠન બાદ રાત્રે વેકસીન મેદાન કે જ્યાં સામુહિક બળાત્કાર થયો હતો ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. જોકે પોલીસને આજે યુવતીની આત્મહત્યાના ૨૧માં દિવસે પણ આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી. આજે રેલવે ઓફિસ ખાતે એસઆઈટીના અધિકારીઓ મીટિંગ યોજશે. રેલવે પોલીસની તપાસમાં પોલીસની અનેક ટીમો દ્વારા ૨૫૦થી વધારે સીસીટીવી કેમેરા, મોબાઇલ લોકેશન, ૧૦૦૦થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત ૮૦૦ લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ નરાધમોની કોઇ કળી પોલીસને સાપડી નહિ. ઘટનાના ૨૧ દિવસ બાદ આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા ૯ સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.

(8:58 pm IST)