સુરતના લિંબાયત વિસ્તારમાં પતિના ત્રાસના કારણે ઘરમાં જ ગળેફાંસો ખાઈને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
મેં જીના ચાહતી હું. ઇતની પરેશાની મેં કેસે જીયુગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી રોજ મારના પીટના નહીં સહ પા રહી હું: પરીણિતાએ આપઘાત પહેલાં પોતાના હાથ પર પતિના ત્રાસ અંગે લખાણ લખ્યું
સુરતમાં એક પરીણિતાએ હાથ પર લખાણ લખીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. લિંબાયત વિસ્તારમાં રહેતી પરીણિતાએ પતિના ત્રાસના કારણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ લેતાં તેનુ મોત નીપજ્યું હતું. તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પતિ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. લગ્ન બાદ તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પરીણિતાને તેના પતિએ મહેણાં ટોણા મારવાનું શરૂ કર્યું હતું. વારંવાર દહેજની માંગ કરવામાં આવતી હતી. પતિએ ખબર પુછવા આવેલા પત્નીના ભાઈ અને માતાને અડધી રાત્રે કાઢી મુક્યા હતાં. તેણે પત્નીને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી હતી અને મોબાઈલ ફોન વાપરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
પતિના વધેલા ત્રાસના કારણે પરીણિતા બાળકોને લઈને પિયરમાં જતી રહી હતી. જેથી પતિએ સુરતમાં રહેતા સાળાના ઘરે જઈને આ બાબતે ઝગડો કર્યો હતો.જેથી વતનમાં જઈને પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી આપતા પતિએ વતનમાં જઈ પત્ની સાથે સમાધાન કરી તેને અને બાળકોને પરત સુરત લઇ આવ્યો હતો. ગત 24 જાન્યુઆરીએ પતિએ વહેમ રાખી મારઝૂડ કરી હતી અને માનસીક ત્રાસ આપ્યો હતો જેથી પરીણિતાએ કંટાળીને પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાધો હતો.
પરીણિતાએ આપઘાત પહેલાં પોતાના હાથ પર પતિના ત્રાસ અંગે લખાણ લખ્યું હતું. તેના ભાઈએ પતિ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પત્નીએ હાથ પર લખ્યું હતું કે મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મેં જીના ચાહતી હું. ઇતની પરેશાની મેં કેસે જીયુગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી રોજ મારના પીટના નહીં સહ પા રહી હું. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઓર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હું.