ગુજરાત
News of Saturday, 27th February 2021

ગુજરાતમાં મેનકાઇન્ડ ફાર્મા ૫૦૦ કરોડનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપશે:રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજુરી

૧૦૦ ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા પ્લાન્ટની પ્રોડક્ટ અમેરિકા નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે:પ્રથમ તબક્કે ૫૦૦ કરોડના રોકાણ બાદ તબક્કાવાર રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ ફાર્મા સેક્ટરમાં મેનકાઇન્ડ ફાર્મા કરશે

અમદાવાદ : ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂ. ૫૦૦ કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે.

 ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે ૫૦૦ કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ કરવાની છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ અંગેની વિગતો આપી હતી.
 એમ. કે. દાસે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ ૨૦૨૧’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યુઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
  આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ ને ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સુચિત પ્રોજેક્ટ સ્થાપના માટે ડિપાર્ટમેંટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.અધિક મુખ્ય સચિવ દાસે એમ પણ ઉમેર્યું કે, રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે.
  તેમણે કહ્યું કે, મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ ૧૦૦% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદીત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI ) યોજનાનો લાભ પણ મેળવી શકશે.
એમ. કે. દાસે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ સહિત વિકાસના વિવિધ ક્ષેત્રોમાં દેશનું રોલ મોડલ બન્યું છે અને પ્રધાનમંત્રીશ્રીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવે છે.
અધિક મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીના પારદર્શી અને નિર્ણાયક અભિગમના ફળસ્વરૂપે ગુજરાત દેશભરમાં વિદેશી મુડીરોકાણ મેળવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે
સમગ્ર દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં આવેલા કુલ એફ.ડી.આઇ.ના સૌથી વધુ એટલે કે ૫૩% એકલા ગુજરાતમાં આવ્યું છે તેમ પણ શ્રી દાસે જણાવ્યું હતું.  
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ફાર્માસ્યુટિકલના આ નવા સુચિત પ્રોજેક્ટના આગમનથી ફાર્મા સેકટર ને  વધુ લાભ મળશે.  

(9:17 pm IST)