રાજ્યમાં મહિલાઓની જાતિય સતામણીની ફરિયાદો માટે રચાયેલી સમિતિનું પુન :ગઠન : અન્ય નિવૃત મહિલાને સ્થાન અપાયું
સમિતિના એક મહિલા સભ્યના સ્થાને અન્ય નિવૃત્ત મહિલાની નિમણૂંક કરીને સમિતિની પુનગઠન કરાયું
ગાંધીનગર :રાજયના નાણાં વિભાગ દ્વારા અગાઉ મહિલાઓની જાતિય સતામણીની ફરિયાદો માટે રચાયેલી આંતરિક ફરિયાદ નિવારણ સમિતિના એક મહિલા સભ્યના સ્થાને અન્ય નિવૃત્ત મહિલાની નિમણૂંક કરીને સમિતિની પુનગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિએ વિભાગની મહિલાઓની જાતિય સતામણી અંગેની ફરિયાદોના નિવારણની કામગીરી કરવાની રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી ( ફરિયાદોનું નિવારણ, રક્ષણ તેમ જ સુધારણાં ) અધિનિયમ 2013 ઘડ્યો હતો. આ અધિનિયમની કલમ 4 અંતર્ગત નાણાં વિભાગ દ્વારા મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની આંતરિક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરી હતી. આ સમિતિના સભ્યો પૈકી કે.એમ. પંચાલ, નિવૃત્ત સેકશન અધિકારીના સ્થાને એમ.એમ. પટેલ, નિવૃત્ત ઉપસચિવની નિમણૂંક કરીને આંતરિક ફરિયાદ નિવારણ સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
પેન્શન અને તિજોરી વિભાગના નાયબ સચિવ કુ. દિપલ આર. હડીયલના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી આ આંતરીક ફરિયાદ નિવારણ સમિતિમાં પેન્શન અને તિજોરી વિભાગના ઉપસચિવ ઇલાબેન પી. પટેલ સભ્ય સચિવ રહેશે. આ ઉપરાંત નાણાં વિભાગના ઝ શાખાના સેકશન અધિકારી આરોહી જે. પટેલની સભ્ય તરીકે તથા નિવૃત્ત ઉપસચિવ એમ.એમ. પટેલની બિન સરકારી સભ્ય તરીકે નિમણૂંક રાજયના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સમિતિએ સરકારી વિભાગની મહિલાઓની જાતિય સતામણી અંગેની ફરિયાદોના નિવારણની કામગીરી કરવાની રહેશે.