ગુજરાત
News of Tuesday, 27th July 2021

RTE અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે પ્રથમ પ્રવેશ યાદી જાહેર : 62985 વિદ્યાર્થીઓને યાદીમાં સમાવાયા

પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે

અમદાવાદ : છેલ્લાં કેટલાંક સમયથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશને લઇને ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે. આજે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 73287 બેઠકો પૈકી 62985 વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ યાદીમાં સમાવાયા છે. પ્રથમ યાદીમાં માન્ય 1.49 લાખ વિદ્યાર્થીઓ પૈકી 62 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTEની 73287 બેઠકો માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પુર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 181162 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16745 જેટલી અરજીઓ અરજદારો દ્વારા જ રદ કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી વખતે ડોક્યુમેન્ટ તથા અન્ય મુદ્દાઓને લઈને 25957 અરજીઓ રદ કરવામાં આવી હતી. આમ, આ કાર્યવાહી બાદ 138460 અરજીઓ મંજુર થઈ હતી.

RTEમાં 25 હજાર કરતા વધુ અરજીઓ રદ થતાં વાલીઓ તરફથી દસ્તાવેજોમાં સુધારો કરવા માટે મુદ્દત આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે વિભાગ દ્વારા 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વાલીઓને અરજીમાં સુધારો કરવાની મુદ્દત આપી હતી. આ ત્રણ દિવસના સમયગાળામાં અનેક વાલીઓએ અરજીમાં સુધારા કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિભાગ દ્વારા સુધારો કરાયેલી અરજીઓની પુનઃ ચકાસણી હાથ ધરી હતી. જેમાં અગાઉ રિજેક્ટ થયેલી 25957 અરજીઓ પૈકી 10640 જેટલી અરજીઓ મંજુર થઈ હતી.

આમ, RTEમાં છેલ્લી સ્થિતિ મુજબ 15317 અરજીઓ રદ થઈ હતી. જ્યારે કુલ મંજુર થયેલી અરજીઓની સંખ્યા 149005 જેટલી છે. દરમિયાન મંગળવારના રોજ RTEની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 62985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે શાળામાં જઈને 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. જે વિદ્યાર્થીનું પ્રવેશ કન્ફર્મ કરાવવામાં નહીં આવે તે બેઠક ખાલી ગણી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. .

હાલમાં જે બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે તે બેઠક સિવાયની ખાલી બેઠક તેમજ પ્રવેશ કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો મળી કુલ ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવશે. જેમાં ખાલી પડેલી જગ્યા પર બાકી રહેલા વિદ્યાર્થીઓ પુનઃ શાળા પસંદગી કરી શકશે. હાલમાં બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(9:11 pm IST)