સુરતનું અનેરૂ કોવિડ સેન્ટરઃ અહીં દર્દીઓ-ડોક્ટરો અને નર્સ કોરોનાનો ભય ભગાડવા કરે છે યોગ ગરબા
સુરત: સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે નેગેટિવ માહોલ થઈ ગયો છે. આવામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં હકારાત્મક ઉર્જા મળે તે માટે સુરતના કોવિડ કેર સેન્ટરમાં ખાસ યોગગરબા અને ધ્યાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના લઇને લોકો હતાશા અનુભવી રહ્યાં છે. ત્યારે આવા સમયે હકારાત્મક વાતાવરણ ઉભુ કરાઈ રહ્યાના કેટલાક દ્રશ્યો સુરતના અલથાણના અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં સવારે જોવા મળી રહ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓ ધ્યાન સાથે યોગગરબાના તાલે ઝૂમી રહ્યાં છે.
ટ્રેનર દ્વારા તૈયાર કરેલા યોગ સાથે ગરબાની પ્રેક્ટિસ દર્દીઓને કરાવાઈ રહી છે. એક તાળી, બે તાળી અને ત્રણ તાળી ગરબા તેમજ અર્વાચીન ગરબા અને હિંચ ગરબા વગેરેનું કોમ્બિનેશન કરીને તેમને ગરબાની અલગ-અલગ મુવમેન્ટ સેટ કરવામાં આવી છે. ટ્રેનર પીપીઈ કીટ પહેરીને દર્દીઓને યોગગરબાના અલગ અલગ મુવ્સ અને ધ્યાન કરાવે છે. જેમાં આજે 87 દર્દીઓ, 21 વોર્ડબોય, 12 નર્સ અને 6 ડોકટર્સ પણ તેઓની સાથે જોડાયા હતા. સેન્ટરમાં ડ્રાયફ્રૂટના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે દર્દીઓને સવારે ધ્યાન અને યોગ ગરબા કરાવવામાં આવી રહ્યા છે.
આ વિશે ઈન્ચાર્જ કૈલાશ સોલંકીએ કહ્યું કે, કોરોનાના ભયથી દર્દીઓ મુક્ત થાય અને તેમનામાં સકારાત્મક ઊર્જા આવે એ માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને તેઓ જલ્દીથી કોરોનાને માત આપી શકે. ઈન્ડિયન એકેડમી ઓફ ગરબા અને ડોઢિયાના અનિષ રંગરેજે કહ્યું કે, અમે કોવિડ ગરબા કોરોનાના દર્દીઓની ફીટનેસ માટે ઈન્વેન્ટ કર્યા હતા. પરંતુ ડોકટરો સાથે મળીને કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ પેશન્ટ માટે સ્પેશિયલ પ્રોટોકોલ બનાવ્યો છે. જેથી તેમનો સ્ટ્રેસ ઓછો કરી શકાય અને તેમની ઈમ્યુનિટી વધારી શકાય અને પોઝિટીવીટી વધારી શકાય. કોવિડ પ્રોટોકોલમાં અલગ અલગ આસન, ધ્યાન અને યોગા કરાવાઈ રહ્યા છે.