તલોદ તાલુકાના કરમીપુરામાં ખેતરના સીમાડામાંથી ભેદી સંજોગોમાં પુરુષની લાશ મળી આવતા ચકચાર: પોલીસ તપાસ હાથ ધરાઈ
તલોદ:તાલુકાના કરમીપુરા ગામના ખેત સીમાડામાંથી એક પુરૂષની લાશ મળી આવતાં કરમીપુરા અને ઉદણ ગામ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો ભોગ બનનાર ઈસમ બે/ત્રણ દિવસ પહેલાં અહીં મોતને ભેટયો હોવાનું તેની કહોવાઇ ગયેલી હાલતમાં લાશ મળી છે. જેની ઓળખ તલોદ પોલીસે કરતાં તે દહેગામ તાલુકાના ઉદણ ખાતે રહેતો શ્રમજીવી હોવાનું બહાર આવ્યું હતું જે એક ટ્રેકટર ચાલક હતો. તલોદ તાલુકાની એક સરહદે આવેલા કરમીપુરા ગામની સીમમાં દહેગામ તાલુકાના ઉદણ ગામના ગોસ્વામી પરિવારની ખેત જમીન આવેલ છે. અહીં ખેતરના શેઢે પાણીના ઢાળીયા પંથકમાં એક અજાણ્યા પુરૂષની લાશ હોવાની વાત સાંજે પંથકમાં ફેલાતાં લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. ખેતર માલિકે તલોદ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે તત્કાળ દોડી પહોંચી હતી. જ્યાં અજાણ્યા ઈસમની ભારે દુર્ગંધ મારતી અને પાણીમાં સતત રહેવાથી ફોગાઇ ગયેલી લાશ પડી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે તલોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.