ભરૂચ ડેરીની ચૂંટણીમાં ભલે ૧૪ બેઠકો બિનહરીફ જાહેર થઇ પરંતુ વાઇસ ચેરમેન માટે કોકડુ ગુંચવવાની અટકળો વહેતી થઇ !!
શું રાજય સહકાર મંત્રીની નારાજગી વ્હોરી લઇ ડેરીના વા. ચેરમેન તરીકે બીટીપી ના મહેશ વસાવાને રીપીટ કરાશે ? સો મણનો સવાલ
રાજપીપળા: નર્મદા-ભરૂચ જિલ્લાને અસર કરતી સહકારી સંસ્થા ભરૂચ દૂધધારા ડેરી વર્તમાન બોર્ડની ચુંટણીમાં 15 પૈકી 14 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, હવે ફક્ત એક જ બેઠક માટે ચૂંટણી યોજાશે.14 બેઠકો માંથી ભરૂચ દૂધધારા ડેરી વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પેનલના 12 બેઠકો બિનહરીફ જાહેર થતા ઘનશ્યામભાઈ પટેલનો ફરીથી ડેરીના ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે આગામી 4 સપ્ટેમ્બર 2020ના રોજ મતદાર મંડળ નંબર 6 જંબુસર બેઠક માટે જ ચૂંટણી યોજાશે. એ બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશ દુબે અને જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સહકારી રાજકારણમાં છેલ્લા 25 વર્ષથી જીત હાંસલ કરનારા ડેરી ના વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈને વર્તમાન ચૂંટણીમાં પરાસ્ત કરવા વિરોધીઓએ દિવસ રાત એક કરી છે.
તેમ છતાં એમની પેનલ સામે વિરોધી છાવણી માંથી ઉમેદવારી નોંધાવી ન્હોતી.
ઉમેદવારી ન નોંધાવા પાછળનું કારણ વિરોધ પક્ષ હાર ભાળી ગયો કે ઘનશ્યામભાઈની જીત પાક્કી ગણી જીતને ફીકી પાડવાની રણનીતિ હોઈ શકે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.
ભરૂચ દૂધધારા ડેરી માં ચેરમેન તરીકે ઘનશ્યામભાઈનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે.
પણ વાઈસ ચેરમેન કોણ બનશે એની પર સૌની નજર છે.
ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વર પટેલના અંગત મનાતા વિનોદ ખુશાલ પટેલ અંકલેશ્વરની સામાન્ય સીટ પર બિનહરીફ જાહેર થયા છે.
આ ઉમેદવાર ઈશ્વર પટેલે પોતે જ મુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગત ટર્મમાં હાલના ડેડીયાપાડા બેઠકના BTPના MLA મહેશભાઈ છોટુભાઈ વસાવા ભરૂચ ડેરીના વાઈસ ચેરમેન હતા.
આગામી ટર્મ માટે વિનોદભાઈ ખુશાલભાઈ પટેલ અને મહેશભાઈ છોટુભાઈ વસાવા બન્નેવ માથી વાઈસ ચેરમેન કોને બનાવવા એ પ્રશ્ન પેચીદો બનશે.
જો મહેશભાઈ છોટુભાઈ વસાવાને વાઈસ ચેરમેન બનાવે તો રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલ નારાજ થાય એવી સ્થિતિ પેદા થવાની સંભાવનાઓ રહેલી છે.
આગામી સમયમાં નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની પણ ચૂંટણી માથે છે.
એ ચૂંટણી જીતવી ઘનશ્યામભાઈ માટે શાખનો સવાલ છે.
BTP MLA મહેશ વસાવાનું આદીવાસી વિસ્તારમાં ખાસ્સું એવું પ્રભુત્વ છે.
એ જોતાં ભરૂચ ડેરીના વાઈસ ચેરમેન મહેશભાઈ છોટુભાઈ વસાવાને ન બનાવાય તો નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીમાં બહુમતી મતોની નુક્શાની વેઠવી પડે એવી સ્થિતિ પેદા થવાની પણ સંભાવનાઓ રહેલી છે.
બીજી બાજુ મહેશ વસાવા ભાજપ વિરોધી વિચારધારા ધરાવે છે.
આ તમામ પરિબળો જોતા ભરૂચ દુધધારા ડેરી (Dudhdhara Dairy Bharuch)ના વાઈસ ચેરમેનનો તાજ કોના સિરે આવે છે એ જોવું રહ્યું.