પોલીસ ગ્રેડ પે આંદોલન હાલ પૂરતું મોકૂફ : સરકારને 15 જેટલી માંગણીની યાદી સોંપાઈ : પોલીસ પરિવારની બેઠક બાદ નિર્ણય
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. જેમ મારા પરિવારને મળુ છું એમ એમને પણ મળીશ
અમદાવાદ : રાજયના છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે આંદોલન સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકાર સાથે વાતચીત બાદ 15 જેટલી માંગોની યાદી સોંપવામાં આવી છે. તેમજ હાલ પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત પોલીસ પરિવારના સભ્યે મીડિયા સમક્ષ કરી છે.
આ દરમ્યાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. જેમ મારા પરિવારને મળુ છું એમ એમને પણ મળીશ. તેમજ આવતીકાલે 11 વાગે ગાંધીનગર ખાતે પોલીસ પરિવારને તેવો મળશે.
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે આંદોલન વેગવંતુ બન્યું હતું. જેમાં ઈડર અને હિંમતનગરમાં પોલીસ સ્ટેશન સામે કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જયારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિવારની મહિલા અને બાળકો ધરણાં પર બેઠા હતા.
જયારે અમદાવાદના દાણીલીમડા અને શાહીબાગ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવારોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું. તેમજ બાળકોએ ભણવાની સ્લેટમાં સૂત્રોચ્ચાર લખ્યા હતા. પંચમહાલમાં પગારવધારાની માગને લઈ પોલીસ પરિવારોએ રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. જામનગરની જુની પોલીસ વસાહતમાં મહિલાઓ થાળી-વેલણ વગાડીને વિરોધ કર્યો તો કચ્છના ખાવડામાં પોલીસ કર્મચારીઓ પ્રદર્શન કર્યું હતું.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રેડ- પે મુદ્દે પોલીસ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા જેને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ શાહીબાગ હેડક્વાટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે..
ગ્રેડ-પે મુદ્દે રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓનું આંદોલન શરૂ થયું છે.સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસકર્મીઓના પરિવારજનો ધરણા પર બેઠા છે..ત્યારે કેબિનેટની બેઠકમાં પોલીસ ગ્રેડ-પે આંદોલન મામલે પણ ચર્ચા થઈ હતી. પોલીસ આંદોલન અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વાતચીત કરી રહ્યા છે.સાથે જ તેમણે આ પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે કે, કાયદા-વ્યવસ્થા ના ખોરવાય એનું ધ્યાન રાખે.. જીતુ વાઘાણીએ એમપણ કહ્યું કે, કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક વિચારી રહી છે.