ગુજરાત
News of Sunday, 27th November 2022

સુરત: ઉધનામાં દારૂનો નશો કરી માતા સાથે રોજિંદી મારઝૂડ કરતા પિતાને સગીર પુત્રએ ચપ્પુ અને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ

પુત્રના હુમલાનો ભોગ બન્યા બાદ પણ પિતાએ તેને બચાવવા પોલીસ સમક્ષ ખોટું નિવેદન નોંધાવ્યું હતું: પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા કરાયેલી તપાસનમાં સ્થાનિકોના નિવેદન અને સીસીટીવી ફૂટેજમાં સમગ્ર મામલો બહાર આવ્યો

સુરત: ઉધનામાં માતાને નશામાં માર મારનાર પિતાની પુત્રે હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં હત્યા કરનારા 15 વર્ષીય પુત્ર ધો.9માં અભ્યાસ કરે છે. જ્યાં પિતાની હત્યા કરાઈ ત્યારે તેણે પડી જવાથી ઇજા થયાનું રટણ કર્યું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પતિ દ્વારા અગાઉ પણ પત્ની સાથે મારઝૂડ કરી હતી. ત્યારે પુત્ર એ આવેશમાં આવી જઈ પિતાની હત્યા કરી નાંખી.

પોલીસ સમક્ષ ખોટું નિવેદન

સુરતના ઉધનામાં દારૂનો નશો કરી માતા સાથે રોજિંદી મારઝૂડ કરતા પિતાને સગીર પુત્રએ ચપ્પુ અને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુત્રના હુમલાનો ભોગ બન્યા બાદ પણ પિતાએ તેને બચાવવા પોલીસ સમક્ષ ખોટું નિવેદન નોંધાવ્યું હતું. પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા કરાયેલી તપાસનમાં સ્થાનિકોના નિવેદન અને સીસીટીવી ફૂટેજમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ઉધના પોલીસે સિવિલ જઈને તેમનું નિવેદન

ઉધના પોલીસને 22મીએ સાંજે સિવિલ હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું કે ઉધનામાં એસએમસી આવાસ ખાતે રહેતા નવધણ ઉર્ફે રવિ રંકનીધી ખૂંટીયાએ પેટના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી ઉધના પોલીસે સિવિલ જઈને તેમનું નિવેદન લીધું હતું.

પત્ની રૂપાબેનની પુછપરછમાં પડી જતા ઈજાનું રટણ

નવઘણ સિવિલના બિછાને હોશમાં હતા અને તેમણે દારૂનો નશો કરેલી હાલતમાં ચાલતા-ચાલતા પડી જતા ઈજા થઈ હોવાનું પોલીસને નિવેદન નોંધાવ્યું હતું. 23મીએ બપોરે તેમનું મોત થયું હતું. ઉધના પોલીસે નવઘણની પત્ની રૂપાબેનની પુછપરછ કરી હતી. તેમણે પણ નશાની હાલતમાં પડી જતા ઈજા થઈ હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. જેથી ઉધના પોલીસે આ મામલે અકસ્માત મોત દાખલ કર્યું હતું. ત્યારબાદ સિવિલમાં પીએમ કરનારા ડોકટરોએ મૃતકના પેટ અને કાનના ભાગે ઈજાના ચિહ્નો દેખાયા હતા. તિક્ષ્ણ કે બોથડ પદાર્થથી હુમલો થતાં મોત થયું હોવાનો અભિપ્રાય અપાતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

ઘટના શંકાસ્પદ લાગતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોના નિવેદન લેવા અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાયા હતા. જેમાં મૃતક જ્યાંથી ઈજાગ્રસ્ત મળ્યા તેના થોડા સમય અગાઉ તે પરિચિતો સાથે વાતચીત કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તે લોકોના નિવેદન લેતા મૃતક નવઘણને તે સમયે કોઈ ઈજા થઈ ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. 

(12:16 pm IST)