ગુજરાત
News of Saturday, 28th January 2023

તેરા તુજકો અર્પણ, ઓર સન્માન પોલીસ કો અર્પણ..... ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીના હસ્તે દિવાળીના સમયે રૂા.૨.૭૫ કરોડના હિરાના પાર્સલોનો લુંટનો સામાન આંગડિયા પેઢી અને વેપારીને પરત કરાયો

અમદાવાદ, આણંદ અને સુરત શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી લુંટના ૧૪ આરોપીઓને ઝડપીને તેમની પાસેથી રૂ.૨.૭૫ કરોડનો મુદ્દામાલ પરત મેળવ્યો હતોઃ સુરત ડાયમંડ અને સુરત આંગડિયા એસોસિએશન દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પોલીસનો અભિવાદન સમારોહ યોજાયો
સુરત: અમરેલી જિલ્લામાંથી તા.૧૯/૧૦/૨૦૨૨ના રોજ રામદેવ ટ્રાવેલ્સમાં અક્ષર આંગડીયા તથા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂ.૨.૭૫ કરોડના હીરા અને રોકડ સાથે પાર્સલ લઈ સુરત શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના ૧.૩૦ વાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલા અગીયાર જેટલા વ્યકિતઓએ બસ રોકી આ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ચાર દેશી તમસાની અણીએ લુંટ ચલાવી ચાર ફોર વ્હીલ વાહનોમાં બેસી ફરાર થયા હતા. જેની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસને થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલિસ દ્વારા તેમનો પીછો કરી નાકાબંદી ગોઠવી સંયુક્ત ઓપરેશન સાથે આણંદ જિલ્લાના મહેળાવ-સુણાવ રોડ પરથી તમામ માલ સાથે નવ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
જેમની પાસેથી દેશી બનાવટના ત્રણ કટ્ટા, જીવતા કારટીજ નંગ-૮, ચપ્પુ (છરા) નંગ-૩ સહિત ડાયમંડના ૨૯૯ નંગ પાર્સલ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપીઓ મળી કુલ-૧૪ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટ દ્વારા આંગડીયા પેઢી તથા વેપારીઓનો મુદામાલ પરત સોંપવા હુકમ કર્યો હતો. આ તમામ ઓપરેશન ૩૫ પોલીસ સ્ટાફની ટીમે પાર પાડયું હતું.
આ તમામ મુદ્દામાલ સાથે આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે મહેશ્વરી ભવન ખાતે સુરત ડાયમંડ એસોશીએશન તથા સુરત આંગડીયા એસોશીએશનોની હાજરીમાં આંગડીયા પેઢીને સોપવામાં આવ્યો હતો.    
આ અવસરે ગૃહરાજયમંત્રીશ્રીએ પોલીસની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, અમદાવાદ, આણંદ અને સુરત શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી લુંટાયેલા મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ધૈર્ય અને વિશ્વાસ પર ડાયમંડનો વેપાર ચાલે છે ત્યારે દિવાળીના સમયે ૩૦૦થી વધુ પરિવારનું જોખમ લઈ આગંણીયા પેઢીના કર્મચારી આંગણીયું લઇને સુરત આવતા હતા ત્યારે અચાનક લુંટ થઈ હતી. પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આણંદ અને સુરત પોલીસના સંયુકત ઓપરેશનના પરિણામે તમામ લુંટારાઓને ઝડપી પાડી વેપારીઓને તેમનો મુદ્દામાલ પરત મળ્યો છે. અમદાવાદ પોલીસે નક્કી કર્યું હતું કે, ૧૦૦ દિવસ પહેલા કોર્ટમાંથી મુદામાલ છોડાવી વેપારી તથા આંગડીયા પેઢીને પરત કરીશું અને આજે તે  કામ તેમણે પાર પાડ્યું કર્યું છે જે બદલ સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સધન કામગીરી કરી રહી છે. ડ્રગ્સના નેટવર્ક તુટવાથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને મોટું નુકશાન પહોચ્યું છે. રાજયની પોલીસ કોઈ પણ રીતે પીછેહડ કરશે નહી. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કલકત્તા જેવા અનેક રાજયના યુવાનોનું જીવન બરબાદ થતા અટકાવવાનું કાર્ય ગુજરાત પોલીસ કરી રહી છે ત્યારે સૌએ સાથે મળીને ડ્રગ્સની લડાઈમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર, અમદાવાદ એસ.પી શ્રી અમિતભાઇ વસાવા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી નાનુભાઇ વેકરીયા, સુરત આંગડિયા એસોસિએશનના પ્રમુખશ્રી મનહરભાઇ પટેલ, વરાછા પો.સ્ટેશનના પી.આઈ.શ્રી એ.એન.ગાબાણી તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:46 pm IST)