વંદે ગુજરાત યાત્રા ૧ દિ' મોડી પમીથીઃ ૮૦ રથ ઘુમશે
રાજકોટ જિલ્લા પંચાયતના ૩૬ મતક્ષેત્રો અને ૬ નગર પાલીકાઓને આવરી લેવાશેઃ સરકારી યોજનાઓનો પ્રચાર
રાજકોટ, તા., ૨૮: રાજય સરકાર દ્વારા ૨૦ વર્ષના વિકાસની ગાથા વર્ણવવા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાનાર છે. અગાઉ તા.૪ જુલાઇથી યાત્રા કાઢવાનું નક્કી થયેલ તેમાં સામાન્ય ફેરફાર થયો છે. હવે યાત્રા તા.પજુલાઇથી ૧૮ જુલાઇ સુધી રાજયવ્યાપી નિકળશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રાજયની જિલ્લા પંચાયતોની ૧૦૯૦ બેઠકોના વિસ્તારને અને ૧૫૬ સુધરાઇ વિસ્તારને આવરી લેવામાં આવશે. જિલ્લાઓમાં ૭૨ અને મહાનગરોમાં ૮ સહિત કુલ ૮૦ રથ એક પખવાડીયા સુધી રાજયના વિવિધ વિસ્તારોમાં ફરતા રહેશે. છેલ્લા ર૦ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની માહીતી અને વિકાસના પળ લોકો સુધી પહોંચાડવાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન સહાય વિતરણ થશે તેમજ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જાહેર સ્થળો અને માર્ગોની સફાઇ કરવામાં આવશે. આયોજન માટે રાજય તથા સ્થાનીક કક્ષાએ સમીતી રચાશે. વૃક્ષારોપણ, પ્રભાતફેરી, યોગ શિબિર જેવા કાર્યક્રમોને પણ સાથે આવરી લેવામાં આવશે.
ઠેર -ઠેર રથયાત્રાનું વાજેતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. વંદે ગુજરાત અંગેની ૭ મીનીટની ફિલ્મ બતાવવામાં આવશે. જયાં રથનું રાત્રત્રી રોકાણ હોય ત્યાં લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જુદા જુદા વિસ્તારોમાં પ્રધાનો સહીતના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લામાં ૬ અને શહેરમાં એક રથ ફરશે.