વડોદરા જિલ્લાના કેલનપુર ગામની સીમમાં જમીન વેચાણ દસ્તાવેજમાં ખોટી વિગત દર્શવિ 85.40 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ
વડોદરા:જિલ્લાના કેલનપુર ખાતે રહેતા ભુપતભાઈ પ્રભાતભાઈ રાઠોડીયા ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેની વડીલોપાર્જિત ખેતીની જમીન કેલનપુર ગામની સીમના ખેડૂત ખાતા નંબર 97 બ્લોક નંબર 379 જુનો સરવે નંબર 497 વાળી જમીન આવેલી છે. જમીનના રેવન્યુ રેકોર્ડ ઉપર વારસાઈ હક્કથી ભુપતભાઈ, ઉદેસિંહ, કમળાબેન ,અમરસિંહ તથા લક્ષ્મીબેન નામનો સમાવેશ છે. વર્ષ 2015 દરમિયાન ગામના જ રહેવાસી હિતેશ બળવંતસિંહ રાજપૂત, મહેશભાઈ આર રબારી, હરેશભાઈ ઉર્ફે ડેની અરવિંદભાઈ પટેલ અને સુરેશ ભાઈ ગણપતભાઈ પટેલ એ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની હોય તેવુ જણાવતા અગત્યના કાગળો ઉપર અંગૂઠાઓ ( સહી ) કરી આપ્યા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, જમીનનો શરત ફેરનો હુકમ થઈ ગયો છે. અને સરકારમાં પૈસા ભરવાના છે ત્યારબાદ વર્ષ 2016 દરમિયાન તેઓએ સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે લખાણ ઉપર જય સિક્કા કરી ફોટા લગાવ્યા હતા અને જમીન અવેજ પેટે ચેક પણ મેળવ્યો હતો.
દરમિયાન વર્ષ 2019 દરમિયાન વડોદરા ગ્રામ્ય કચેરી ખાતે મામલતદારની ઓફિસે તપાસ કરાવી જમીનની નકલો મેળવતા જમીન વેચનારમાં ફરિયાદીના નામો જમીન વેચાણ લેનાર તરીકે રશ્મિકાબેન પટેલ ( રહે- આદિનાથ સોસાયટી, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા ), નિલેષભાઈ પટેલ ( રહે- સન્માન પાર્ક, માંજલપુર, વડોદરા ) , મુકેશભાઈ રબારી (રહે- જય રણછોડ બિલ્ડીંગ , નવાપુરા, વડોદરા) હિતેશ રાજપુત (રહે- પટેલ ફળિયું, કેલનપુર) અને પ્રફુલકુમાર પંડ્યા( રહે- દશરથ) ના નામો જણાઇ આવ્યા હતા. આરોપીઓએ વેચાણ દસ્તાવેજમાં નાણા શેના અને કોને આપવાના તેની કોઇ વિગત દર્શાવી નથી. તેમ જ ખેતીનો ખર્ચ અને સરકારી નજરાણું તેમજ રોકડા દસ્તાવેજમાં દર્શાવી જમીનની અવેજ ફરિયાદીને ચૂકવવાના બદલે દસ્તાવેજમાં ખોટી માહિતી બતાવી અવેજ રકમ પૈકીની 85, 40, 800 રૂપિયાની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.