વલસાડમાં ૨૧ આદિવાસી પરિવારો ફરીથી બન્યા હિંદુ
મિશનરીઓએ પૈસા આપીને ધર્માંતરણ કરાવ્યાનો વીએચપીનો આક્ષેપ
વાપી,તા. ૨૯: ગુજરાતના વલસાડ જીલ્લાના ૨૧ આદિવાસી પરિવારોએ ફરી એક વાર હિંદુ ધર્મ અપનાવી લીધો છે. આ ૨૧ પરીવારોમાં કુલ ૧૦૫ સભ્યો છે. જેમણે હિંદુ ધર્મ અપનાવીને 'ઘર વાપસી'કરી છે. વલસાડ જીલ્લા કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ ક્રિશ્ચીયન ધર્મ અપનાવ્યો છે. વીએચપીએ આક્ષેપ કર્યો છે કે અહીં કામ કરતા ક્રિશ્ચીયન મીશનરીઓ આદિવાસીઓને પૈસા અથવા અન્ય વસ્તુઓની લાલચ આપીને તેમનુ ધર્મ પરિવર્તન કરાવે છે. દક્ષિણ ગુજરાતના વીએચપી સંગઠનમંત્રી વિક્રમસિંહ ભાટીનું કહેવુ છે કે વાપીમાં આદિવાસી લોકોને મોટા પાયે લાલચ દ્વારા ક્રિશ્ચીયન બનાવાયા હતા. જેમને પાછા હિંદુ ધર્મમાં સામેલ કરાયા છે. તો ઘરવાપસી કરનારા આદિવાસીઓ પણ કહી રહ્યા છે કે તેમને ધર્મનું હવે સાચુ જ્ઞાન થયું છે. સાથે જ પોતાના પરિવાર સાથે ધર્મ પરિવતર્ન કરનાર લક્ષ્મણ ખાડમે કહ્યુ કે ૫ વર્ષ પહેલા તેમને પૈસાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવાયું હતુ પણ હવે અમે પાછો હિંદુ ધર્મ સ્વીકારી લીધો છે.