રાજ્યના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાશેઃ નિતીનભાઈ પટેલ
રાજકોટ, તા. ૨૯ :. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે વેકસીનેશનની પ્રક્રિયાને લઈને જણાવ્યુ હતુ કે હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેકસીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે આગામી રવિવારે જેમને કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે. તેમને રસી આપવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેકસીનેશનની કામગીરી ચાલશે. કોરોનાની ત્રીજી લહેરને લઈને હાલમાં રાજ્ય સરકાર ગંભીર છે. રાજ્યમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. રાજ્યમા તમામ નાગરિકોને વેકસીન આપીને સુરક્ષિત કરાશે. જો કે રાજ્યમાં ત્રીજી લહેર આવે નહીં એવી પ્રભુને પ્રાર્થના કરૂ છું. સરકારી કર્મચારીઓના અટકાયેલા મોંઘવારી ભથ્થા સંદર્ભે નિતીનભાઈએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરાઈ છે એના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.