વડોદરામાં દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ જુદા જુદા વિસ્તારમાં 9.30 કરોડના ખર્ચે 615 બેડનું આશ્રય સ્થાન બનાવવાની માહિતી
વડોદરા: શહેરમાં દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ઘર વિહોણા લોકો માટે છાણી ટીપી 13 અને ટીપી 12 વિસ્તારમાં 9.30 કરોડના ખર્ચે 615 બેડના આશ્રય સ્થાન બનાવવામાં આવશે .આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. ઘર વિહોણા લોકો માટે વર્ષ 2018 માં સર્વે કરાયો હતો.
મિશનની ગાઈડલાઈન મુજબ આશ્રય સ્થાનો માટે સુવિધા અપૂરતી હોવાથી અને હાલના આશ્રયસ્થાનોમાં પાયાની સવલતો ન હોવાથી નવા બનાવવા જરૂર ઉભી થઇ છે. છાણી ટીપી13 વિસ્તારમાં 88 બેડની ક્ષમતા ધરાવતા ચાર આશ્રયસ્થાન છે. એક પ્લોટમાં ગેરકાયદે દબાણ છે. જે દૂર કરી નવું બાંધકામ કરાશે. અહીં 465 બેડની ક્ષમતાવાળું રૂપિયા 6.15 કરોડના ખર્ચે નવું આશ્રયસ્થાન બનાવાશે. નવું બાંધકામ ગ્રાઉન્ડ પ્લસ-૨ હશે .એ જ પ્રમાણે છાણી જકાતનાકા ટીપી 12 માં 150 બેડની ક્ષમતા ધરાવતું આશ્રયસ્થાન રૂપિયા 3.14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નવું બાંધકામ ગ્રાઉન્ડ પ્લસ-1નું બનશે.