ગુજરાત
News of Saturday, 29th August 2020

આવકવેરા પધ્ધતિમાં આમૂલ પરિવર્તનથી કરદાતાઓની મુશ્કેલીઓ દૂર થશે : છાવી અનુપમ

વેબિનારમાં ગુજરાતના મુખ્ય આવક વેરા કમિશનરનું ઉદ્બોધન

ગુજરાત આવકવેરા વિભાગ તેમજ કેન્દ્ર સરકારના માહિતી વિભાગ દ્વારા યોજાયેલ ઓનલાઇન સેમિનાર પ્રસંગે છાવી અનુપમ, ડો. ધીરજ કાકડિયા, ભવ્ય પોપટ, મેહુલ રાણપુરા, કલ્પેશ રૂપારેલિયા, રણજીત લાલચંદાની વગેરેએ માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીર.

અમદાવાદ તા. ૨૯ : રાજયના પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ સુશ્રી છાવી અનુપમે જણાવ્યું છે કે, માનવ સંપર્ક રહિત કર આકારણીની અમલમાં મૂકાયેલી નવી પ્રણાલી ખૂબ ટૂંક સમયમાં કાર્યક્ષમ રીતે પરિણામો આપતી થઇ જશે. ફેસલેસ એસસમેન્ટ ઓફ ઇન્કમ ટેકસ પર પીઆઇબી,આરઓબી તેમજ ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા સંયુકત રીતે યોજાયેલા વેબીનારમાં તેમણે કહ્યું કે સમય, શકિત અને સંસાધનોના બચાવ માટે નવી આકારણી પ્રથા ઐતિહાસિક રીતે ક્રાંતિકારી પગલું સાબીત થશે. દૂરસદૂરના વિસ્તારમાં રહેતાં કરદાતાઓને આવકવેરા કચેરીના ધક્કા હવે બંધ થઇ જશે અને કેટલાંક મનસ્વી અધિકારીઓ દ્વારા થતી કનડગતનો આ પ્રથાથી સંપૂર્ણ અંત આવશે.

વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ ઇલેકટ્રોનિક આકરણી એટલે શું? અને તેમાં કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેનાં સંદેશા વ્યવહારની પધ્ધતિઓ જેવીકે ઇમેલ, વિડિયો કોન્ફરન્સિંગ, મોબાઇલ એપ, ડોકયુમેન્ટેશન અપલોડીંગ ઓન પોર્ટલ વગેરેની સમજ આપી હતી.

તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આકારણી પ્રથાનો અમલ શરૂ કરાવતી વેળાએ આપેલ વકતવ્ય વેબીનારમાં સહભાગીઓને ફરી સંભળાવવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ટેકસટેરરનો અંત આવશે તેની છણાવટ આ વકતવ્યમાં કરી હતી. જુનાગઢના એડવોકેટ શ્રી ભવ્ય પોપટ, રાજકોટના અગ્રણી સીએ શ્રી મેહુલ રાણપુરા, જુનાગઢના સિનિયર ટેકસ પ્રેકિટશનર શ્રી કલ્પેશ રૂપારેલીયા તેમજ રાજકોટના ટેકસ કન્સલટન્ટ શ્રી રણજીત લાલચંદાનીએ નવી આકારણી પ્રણાલી વિશે વકતવ્ય આપ્યું હતું.

ઇન્કમ ટેકસ વિભાગના વરિષ્ઠ અધિકારી શ્રી રાજ ટંડને અમલમાં મૂકાયેલ નવી આકારણી પ્રથાને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવી હતી. સોશ્યલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર આ વેબીનારનું લાઇવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજય અને દેશભરમાંથી લોકો જોડાઇ શકયા હતાં અને આ નવી કર આકારણી પ્રથા વિશે સમજ સાથે માર્ગદર્શન પામી શકયા હતાં. વેબીનારનું ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ સંચાલન કર્યું હતું.

(1:08 pm IST)