ગુજરાત
News of Saturday, 29th August 2020

સુરતમાં પત્‍નીની હત્‍યાને આત્‍મહત્‍યામાં ખપાવવા માટે કરાયેલ પતિના કારસ્‍તાનને 8 વર્ષના બાળકે ખુલ્લુ પાડયુ

સુરત: દિન પ્રતિદિન સુરત શહેર ક્રાઇમ સિટી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 3 હત્યાના બનાવ બનવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક ખાખી વર્દીનો ડર હવે ગુનેગારોને નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. શરૂઆતના સમયે આ હત્યા આત્મહત્યામાં ખપાવવામાં આવી હતી. જો કે બાદમાં આઠ વર્ષના દીકરાએ હત્યારા પિતાની પોલ પોલીસ સામે ખોલી નાખી હતી.

મૂળ જામકંડોરણાના જામદાદર ગામના અને સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીમાં વિભાગ-4માં ઘર નંબર-14માં રસિકભાઈ નસિત પત્ની હર્ષાબેન અને સાત વર્ષના દીકરા સાથે રહેતા હતા. હર્ષાબેન હીરાનું કામ કરતા હતા. બંન્ને દંપતી વચ્ચે અવારનવાર કોઈક ને કોઈ વાત ને લઈને ઝઘડો થતો હતો. તેમજ રસિકભાઈ છેલ્લા આઠ મહિનાથી ભગંદરની બીમારીથી પીડાતા હતા. તેમની સારવાર નડિયાદની એક હોસ્પિટલમાં ચાલતી હતી. ભગંદરના કારણે તેઓ તેમની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધી શકતા ન હતા. જે વાતને લઈ પત્ની શંકા કરતી હતી કે, તેમના પરસ્ત્રી સાથે સબંધ હોઈ જેને કારણે તેઓ તેણી સાથે શારીરિક સંબંધ નથી માણતા.

આજ વાતને લઈ બંને વચ્ચે સતત બોલાચાલી થતી હતી. જેમાં ઉશ્કેરાટમાં આવી જઈને નસિતભાઈએ પત્ની હર્ષાબેનની ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને શરૂઆતમાં નસિતે પોલીસ સામે આત્મહત્યામાં ખપાવી નાંખી હતી. જોકે મૃતક હર્ષાનાં ગળા પર નખના નિશાન દેખાતા પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે નસિતના આઠ વર્ષના દીકરાની પૂછપરછ કરી હતી. ત્યારે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. દીકરાએ પોલીસ જણાવ્યું હતું કે તેની નજર સામે જ તેની માતાની હત્યા કરવામાં આવી હતી. બાળકની વાત સાંભળતા જ  પોલીસે પતિ રસિકની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે.

સમગ્ર કિસ્સા મામલે સુરત એસીપી એમપી પરમારે જણાવ્યું કે, નસિતનો આઠ વર્ષનો દીકરો ઉડાન સ્કૂલમાં ધોરણ-1માં આ બાળક અભ્યાસ કરી રહ્યો છે. પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

(5:02 pm IST)