અપહરણ કરી ખંડણી માગનાર ચાર આરોપીઓને આજીવન કેદ
બિલ્ડરનું અપહરણ કરી ૫ કરોડની ખંડણી માગી હતી : સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી ન્યાયહિતમાં ખૂબ જ જરુરી : કોર્ટ
અમદાવાદ,તા.૨૯ : નરોડામાંથી બિલ્ડરનું અપહરણ કરીને પાંચ કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીને એડીશનલ સેશન્સ જજ એ.શર્માએ ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે.જયારે એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકયો છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીઓ સામે ગુનો પુરવાર થયો છે ત્યારે આવા કિસ્સાને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી ન્યાયહિતમાં જરુરી છે. સજા પામેલા આરોપીઓમાં અનીકેતસિંગ ઈન્દ્રજીતસિંગ પાલ, ભુપત ઉર્ફે ભુપો રામાભાઈ રબારી, શ્રીષ્કૃષ્ણ ઉર્ફે ખરગોશ સુદરસિંગ તોમર અને આનંદ નરેન્દ્રસિંગ તોમરનો સમાવેશ થાય છે. જયારે પુરાવના અભાવે આકાશ રાજેન્દ્રસિંહ પાલને કોર્ટે નિર્દોષ છોડી મુકયો છે.
આ કેસની વિગત એવી છે કે નરોડામાં રહેતા રહેતા રજનીભાઈ પટેલનું ગગતા.૪-૪-૨૦૧૮ના રોજ અનીકેતસિંગ પાલ તથા તેના સાગરિતો અપહરણ કરીને માઉટ આબુ લઈ ગયા હતા અને રુ.૫ કરોડની ખંડણી માંગી હતી. જે અંગે રજનીભાઈના પુત્ર વિપુલએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે છટકુ ગોઠવીને અમીગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધા હતા. પાંચેય આરોપીઓ સામે પોલીસે પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. જે કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટણીએ ૨૩ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે ચાર આરોપી સામે કેસ પુરવાર કરીને કોર્ટે જણાવ્યુ હતુ કે, આરોપીઓ દ્વારા કરવામાં આવેલ કૃત્ય અતિગંભીર છે. ગુનો પુરવાર થયો છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે ચાર આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે.