મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા અફડાતફડી
અશોક ગેહલોતે આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે
અમદાવાદ,તા. ૨૯: ગુજરાતમાં ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ત્રણેય પક્ષો જીત માટે એડી ચોટીનો દમ લગાવી રહ્યાં છે અને વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે તો વળી કોંગ્રેસમાં અશોક ગહેલોત સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.
આ બધાની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં.
મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જયારે જયારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.