ગુજરાત
News of Tuesday, 29th November 2022

નર્મદા જિલ્લામાં કનેક્ટીવીટી વિનાના વિસ્તારના ગામોના મતદાન મથકોના સંદેશા વ્યવહારન માટે વાયરલેસ સેટનો ઉપયોગ કરાશે

વન વિભાગના પાંચ મુખ્ય વાયરલેસ સ્ટેશન અને બે (૨) પેટા વાયરલેસ સ્ટેશનના સાત ઓપરેટર્સ ઉપરાંત અન્ય ૩૦ જેટલાં વન રક્ષક-વનપાલ વોકીટોકી સેટ સાથે મતદાન મથક ખાતે તૈનાત કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે  જિલ્લાના કનેક્ટીવીટી વિનાના ગામોના ૩૦ જેટલા મતદાન મથકો શેડો એરિયાના ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામો ખાતે યોજાનાર મતદાન મથક દ્વારા ચૂંટણીલક્ષી મતદાન પ્રક્રિયાની નિયત સમયાંતરે જરૂરી આંકડાકીય વિગતો અને અન્ય સંદેશાઓની આપ-લે જિલ્લા ચૂંટણીતંત્રને થઇ શકે તે માટે જિલ્લામાં વન વિભાગના સહયોગથી વોકીટોકી વાયરલેસ સેટના માધ્યમથી સુચારુ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના શેડો એરિયાના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના-૧૭ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના-૧૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શૈલેષભાઇ ગોકલાણી, સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક મિતેષ પટેલની ઉપસ્થિતિમાં વડીયા પેલેસ સ્થિત વન વિભાગની કચેરી ખાતે વન વિભાગના મદદનીશ વન સંરક્ષકો, RFO, વન રક્ષક, વનપાલ અને વાયરલેસ ઓપરેટર સહિતના વન વિભાગના અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ મતદાનના આગલા દિવસે એટલે કે તા.૩૦/૧૧/૨૦૨૨ ના બપોરથી તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ સુધી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લાના શેડો એરિયાના મતદાન મથકો ખાતે સંદેશા વ્યવહારની આપ-લે માટે તૈનાત કરાનારા કર્મચારીઓએ બજાવવાની થતી ફરજો અંગે માર્ગદર્શન પુરું પાડ્યુ હતું. વન વિભાગ સાથે ચૂંટણીતંત્રના અન્ય કર્મચારીઓને પણ આ કામગીરીમાં સહયોગી બનાવાયાં છે.
બેઠકમાં ચર્ચા દરમિયાન નાયબ વન સંરક્ષક મિતેષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના શેડો એરિયામાં સંદેશા વ્યવહારની આપ-લે માટે નર્મદા અને કેવડીયા નોર્મલ વન વિભાગના ૩૭ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને આ વિશેષ સેવાઓ પર તૈનાત કરાશે, જેમાં રાજપીપલા, કેવડીયા, દેડીયાપાડા, દેવમોગરા અને સાગબારા ખાતેના મુખ્ય વાયરલેસ સ્ટેશન અને આમલેથા તથા ખુટાઆંબા ના ૨ (બે) પેટા વાયરલેસ સ્ટેશન ખાતે ૭ ઓપરેટર્સ સતત કાર્યરત રહી તેમની ફરજો બજાવશે. તેની સાથોસાથ પ્રત્યેક મતદાન મથક ખાતે વોકીટોકી સાથે વનરક્ષક અને વનપાલ ફરજ બજાવશે. દેડીયાપાડા ખાતે  સહ-નોડલ તરીકે RFO સુ રમાબેન વસાવા (મો.નં-૯૬૮૭૭૦૫૮૫૮) અને નાંદોદ ખાતે સહ-નોડલ તરીકે RFO રોહિત વસાવા (મો.નં-૬૩૫૧૮૦૧૧૨૫) તેમના સંબંધિત વિસ્તારમાં જરૂરી સંકલન અને સુપરવિઝન કરાશે, જ્યારે જિલ્લાકક્ષાએ કોમ્યુનિકેશન પ્લાનના નોડલ અધિકારી અને સામાજીક વનીકરણના નાયબ વન સંરક્ષક મિતેષ પટેલ (મો.નં-૭૫૮૪૯૫૦૪૩૮) દ્વારા આ સમગ્ર કામગીરીનું સતત મોનીટરીંગ કરાશે

(10:15 pm IST)